(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ, શ્રી સ્વામિનારાયણ ગુજરાત બોર્ડ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ, શ્રી સ્વામિનારાયણ સી.બી.એસ.સી. સ્કૂલ શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી દ્વારા સંયુક્ત રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંચાલક મંડળ તથા શૈક્ષણિક સ્ટાફ દ્વારા ભવ્ય ગુરૂ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવર્ય પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણ દાસજીએ આશીર્વચન આપ્યા હતા તેમણે પૌરાણિક ઈતિહાસની વાતો કહેતા જણાવ્યું હતું કે, ભગવાન વેદવ્યાસનું પૂજન નૈમિષ્યારણમાં વસતા સૌનક ઋષિએ કર્યુ હતું. વેદવ્યાસજીની પાસેથી સૌનક ઋષિને આત્મજ્ઞાન થયું. વેદવ્યાસજીને ગુરૂ માની પૂજન કર્યું તે દિવસ આષાઢી પૂનમનો હતો. આ દિવસને ‘‘ગુરૂપુર્ણિમા”નું નામ મળ્યું. અને મહાપર્વ તરીકે આજદિન સુધી ઉજવાય છે. અષાઢ મહિનામાં શુક્લપક્ષની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુનો અર્થ સમજવામાં આવે તો, ગુરુ શબ્દમાં (ગુ) નો મતલબ છે અંધારું, અજ્ઞાનતા અને (રુ) નો મતલબ છે દૂર કરવું. મતલબ જે આપણી અજ્ઞાનતા દૂર કરે છે અને જીવનમાં રહેલી નિરાશા તેમજ અંધકારને દૂર કરે તે ગુરુદેવ છે.