(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : આવતી કાલથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સહિત પડોશના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. જેને લઈ પરીક્ષા કેન્દ્રોથી પાંચસો મીટરના પરિઘમાં આવતી ઝેરોક્ષની તમામ દુકાનો બંધ રાખવા સંઘપ્રદેશ દાનહ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, આવતી કાલ તા.14મી માર્ચ, 2023થી 29મી માર્ચ,2023 સુધી એસ.એસ.સી. અને એચ.એસ.સી. ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં દાદરા નગર હવેલી જિલ્લાના નવ જેટલા પરીક્ષા કેન્દ્રો (1)ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, ટોકરખાડા (ગુજરાતી માધ્યમ) (2)ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, ટોકરખાડા(અંગ્રેજી માધ્યમ) (3)મોડેલ સ્કૂલ સેલવાસ, જીએચએસએસ (ટી)(અંગ્રેજી માધ્યમ) (4)પ્રાઈમરી સ્કૂલ ઝંડા ચોક, સેલવાસ (5)પ્રાઈમરી સ્કૂલ, ઝંડા ચોક સેલવાસ, (ગુજરાતી માધ્યમ) (6)ગવર્નમેન્ટ હાઈસ્કૂલ, ઝંડાચોક સેલવાસ (7)ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, રખોલી (8)ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ, ગલોન્ડા અને (9)પ્રાથમિક શાળા ગલોન્ડા ખાતે પરીક્ષા કેન્દ્રો છે. તેથી આ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષાના સમય દરમ્યાન બંધ રાખવા આદેશ કરાયો છે. આ આદેશનો કોઈપણ ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્વારા પોતાની દુકાનો પરીક્ષા સમય દરમ્યાન ખુલ્લી જોવામાં આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.