સેલવાસ નગરપાલિકા દ્વારા 2018 શેરી વિક્રેતાઓને લોન માટે નોંધણી કરાવી હતી જેમાંથી 1007 શેરી વિક્રેતાઓની લોન મંજૂર થઈ અને 951 શેરી વિક્રેતાઓને મળેલી લોન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા તા.1 જૂન, 2020ના રોજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગલી-શેરીના દુકાનદારોને રૂા.10 હજારની લોન આપવામાં આવે છે. જેમાં તેઓને તેમના ધંધા-રોજગાર ફરીથી શરૂ કરવા મદદ મળે છે. આ અંતર્ગત સેલવાસ નગર પાલિકા દ્વારા 2018 શેરી વિક્રેતાઓને લોન માટે નોંધણી કરાવી હતી. જેમાંથી 1007 શેરી વિક્રેતાઓની લોન મંજૂર થઈ ગઈ છે, અને 951 શેરી વિક્રેતાઓને લોન મળી ચુકી છે. તા.4 જાન્યુઆરી, 2021ના રોજ સ્વનિધિ સે સમૃદ્ધિ યોજનાની શરૂઆત થઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ તમામ શેરી વિક્રેતાઓ અને તેમના ઘરના સભ્યોને અન્ય યોજનામાં લાભ આપવાનો છે. આ અંતર્ગત કુલ 2296માંથી 1076 શેરી વિક્રેતાઓ અને તેમના પરિવારના સભ્યોની સામાજિક આર્થિક રૂપરેખા થઈ ગઈ છે. જેમાં કુલ 890 લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, અને ‘એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ’ વગેરેનો લાભ મળશે.
આ યોજનાને આગળ ધપાવતા, આવાસ અને શહેરી મંત્રાલય ભારતસરકાર દ્વારા આઝાદીના 75મા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘સ્વનિધિ મહોત્સવ”નું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેમાં રાષ્ટ્રીય સ્તર પર 75 શહેરી નગર પાલિકાઓની યાદી ભારત સરકારે બનાવી છે. તેમાંથી સેલવાસ નગરપાલિકા પણ એક છે. આ અંતર્ગત તા.13 જુલાઈ, 2022ના રોજ સેલવાસ નગર પાલિકા દ્વારા ‘‘સ્વનિધિ મહોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં શહેરી વિકાસ સચિવ શ્રીમતી તપસ્યા રાઘવ, પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર મીણા, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, પોલીસ ઉપ અધિક્ષક શ્રી સિદ્ધાર્થ જૈન, સેલવાસના ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ, ખાનવેલના ઉપ કલેક્ટર શ્રી શુનભ સિંહ, સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, તમામ કાઉન્સિલરો, સેલવાસ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા, સેલવાસ નગરપાલિકાના મુખ્ય અધિકારી ડો. મનોજકુમાર પાંડેય, પ્રશાસનના અન્ય અધિકારીઓ, બેંકના પ્રતિનિધિઓ અને શેરી વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રજ્વલિત કરીને ગણેશ વંદના સાથે ગણમાન્ય વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ પીએમ સ્વનિધિનો વીડિયો અને સેલવાસ નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ પીએમ સ્વનિધિ યોજનાજાગરૂકતાનો વીડિયો પણ બતાવવામાં આવ્યો. જે શેરી વિક્રેતાઓએ 10,000 રૂા. અને 20,000 રૂા.ની લોન લઈ લીધી છે અને સાથે જ પીએમ સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના અંતર્ગત જુદી જુદી યોજનાનો લાભ મળી ચુક્યો છે તે શેરી વિક્રેતાઓને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા અને તે શેરી વિક્રેતાઓએ તેમનો અનુભવ પણ જણાવ્યો હતો. આ મહોત્સવમાં પીએમ સ્વનિધિ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વચ્છતા થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, મેજિક શો, સ્ટેન્ડ અપ કોમેડી, સ્થાનિક વ્યંજનોનો શેરી ખોરાક, જુદી જુદી સરકારી યોજનાનો લાભ આપવા માટે સ્ટોલ અને અંતમાં શેરી વિક્રેતાઓ દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.