પરિવાર નંદવાયો : બાઈક ઉપર સુનીલભાઈ પટેલ, પત્ની રંજનબેન, પુત્રી હેત્વી ગુરુ પૂર્ણિમા ઉજવી ઘરે આવતા બાઈક ખાડામાં પટકાયેલ, પાછળથી ટ્રક ફરી વળી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: નેશનલ હાઈવે ઉપર ડુંગરીથી વાપી સુધી પડી ગયેલા જીવલેણ સાબીત થયેલા ખાડાઓએ છેલ્લા બે દિવસમાં ચારનો ભોગ લીધો છે. ગઈકાલે વાપીની ઘટના બાદ ડુંગરી વલસાડનો પરિવાર ગુરુ પૂર્ણિમા ઉજવી અનાવલથી ઘરે પરત બાઈક ઉપર આવી રહેલ ત્યારે સોનવાડા નવા ઓવરબ્રિજ ઉપર પડેલા ઢગલાબંધ ખાડા પૈકી એક મોટા ખાડામાં પરિવારની બાઈક પટકાઈ હતી તેથી બાઈક સવાર પિતા-માતા અને પૂત્રી રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. પાછળથી આવતી ટ્રક ફરી વળતા માતા-પિતા ઘટના સ્થળે અને પૂત્રીનું સારવારમાં કમકમાટી ભર્યા મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં હાઈવે ઓથોરીટી ઉપર ફીટકાર સાથે શોકનીકાલીમા છવાઈ ગઈ હતી.
પોલીસ સુત્રો મુજબ ડુંગરી વલસાડમાં રહેતા સુનીલભાઈ પટેલ (ઉ.વ.44) તેમની પત્ની રંજનબેન તથા પૂત્રી હેત્વી તેમની બાઈક નં.જીજે 15 એસી 0342 ઉપર સવાર થઈ અનાવલ ગામે ગુરુ પૂર્ણિમા ઉજવવા ગયા હતા. સાંજે બાઈક પર પરત આવી રહ્યા હતા ત્યારે સોનવાડાના નવા હાઈવે ઓવરબ્રિજ પર ખાડામાં બાઈક પટકાયું હતું. આખો પરિવાર ફંગોળાઈ ગયેલ તે દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રક નં.જીજે 11 વીવી 7707 બાઈક ઉપર ફરી વળતા માતા-પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જ્યારે પૂત્રી હેત્વીએ વલસાડ સિવિલમાં સારવારમાં અંતિમ શ્વાસ છોડેલો હચમચાવી નાખતી ઘટના બાદ આજે ગુરુવારે સવારે ત્રણ અર્થી સાથે નિકળતા આખુ ડુંગરી હિબકે ચઢયુ હતું.