નારગોલ અને દેહરી ખાતે તળાવમાં પાણીની સપાટી ભયજનક આવતા પાળ તોડવાની ફરજ પડીઃ નારગોલમાં વૃક્ષ પડતા એક ઘરને નુકસાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: રાજ્યભરમાં અતિવૃષ્ટિની અસર જોવા મળી રહી છે, ઉમરગામ તાલુકામાં પણ સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. દેહરી અને નારગોલ ખાતેતળાવમાં પાણીનું વહેણ વધી જતા ઓવરફલો થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને તળાવની પાળ પાણીના ઓવરફલો ના કારણે તૂટી જાય તો નજીકમાં વસવાટ કરતા મોહલ્લામાં પાણીનો ભરાવા થવાની શકયતા સર્જવા પામી હતી. પરંતુ દેહરીના આગેવાન અને ઉપસરપંચ શ્રી ઉમેશભાઈ સોલંકી અને નારગોલ ના આગેવાન શ્રી યતિનભાઈ ભંડારી અને એમની ટીમે અગમચેતી પગલા રૂપે તળાવની પાળને તોડી પાણીનો ભરાવો ખાલી કરતા સામે દેખાઈ રહેલા ભયને દૂર કર્યો હતો. આ ઉપરાંત નારગોલ ગામના હોસ્ટેલ હાઈવે વિસ્તારમાં લલીતાબેન કુમુદભાઈ બારીયાના ઘર ઉપર સવારના દસેક કલાકના સમયે તોતિંગ વૃક્ષ પડતા ઘરને ભારે નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ નારગોલ પંચાયતના સરપંચ શ્રીમતી સ્વીટીબેન ભંડારીને થતા ઘટના સ્થળે ઘસી જઈ ભોગ બનેલ પરિવારને મદદરૂપ થયા હતા.
ઉમરગામ ટાઉન વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી અંકુશભાઈ કામળી તેમજ પૂર્વ પ્રમુખ જશુમતીબેન દાંડેકર અને શ્રીમતી વર્ષાબેન સુર્વેએ પાલિકાના વોર્ડ નંબર 4 અને 5 માં સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જે જગ્યા ઉપર પાણીનો ભરાવો થયો હોય અથવા જે પણ પરિવારને મદદની જરૂર પડી હોય ત્યાં મદદ રૂપથયા હતા.