વરસાદે માંડ સામાન્ય વિરામ લેતા રાહત જણાતી હતી ત્યાં ધરમપુર-કપરાડા વિસ્તારમાં વધુ વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તરતો થયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: માનવ જાત કુદરત સામે સદાય લાચાર બનતી રહી છે તેવી કરુણતા-લાચારી ભરી સ્થિતિનો સામનો છેલ્લા પાંચ દિવસ વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સામનો કરી રહ્યો છે. જ્યાં જૂઓ ત્યાં રસ્તાઓ, પુલો, કોઝવે, રહેણાંક વિસ્તારો નદી-નાળા ઔરંગા નદીના પૂરના પાણીમાં ધમરોળાઈ રહ્યા છે. ચોતરફ વિનાશ જ વિનાશ વેરાઈ રહ્યો છે. સામાન્ય જનજીવન લોકો વિસરીને આફતોનો ડગલે પગલે સામનો કરી ખાવા-પિવાની ન જોઈ હોય તેવી કઠીનાઈનો પ્રજાજનો વેઠી રહ્યા છે. કુદરતી આકાશી આફત એટલી પ્રચુર બની છે કે સરકારના તમામ સંસાધનો પાંગળા બની રહ્યા છે. પહોંચવું તો ક્યાં અને કેવી રીતે કારણ કે સમગ્ર વિસ્તારો પૂર અસરગ્રસ્ત બની ચૂક્યા છે.
છેલ્લા છ દિવસથી વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને 24 કલાક વરસી રહ્યા છે. વરસાદનો ઈંચના આંકડાઓ રોજેરોજ બેવડાઈ રહ્યા છે. જેનો સ્કોર 60 ઈંચ સુધી પહોંચી ગયો છે. માત્ર પાંચ-છદિવસ ચોફેર મુશળધાર વરસાદ વરસ્યો તેથી જિલ્લાની તમામ નદીઓ બેકાબુ બની ઓવરફલો થઈ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ધસી ગયા. જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ ઉદ્દભવી ચૂકી. આશા હતી કે હવે વરસાદ વિરામ લેશે પણ વિરામના સ્થાને રોજ બેવડાતો રહ્યો. તેથી સૌથી વધુ અસર વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તાર લીલાપોર, વશીયર, સેગપુર, ખેરગ્રામ રોડ, હનુમાન ભાગડા, કોસંબા, સેગવી ગામોમાં ઔરંગા નદીના પૂરના પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા. દુકાનો, રસ્તા, મંદિરો, મકાનો પાણીમાં તરતા થયા. લોકોની જીવન જરૂરીયાતની વસ્તુ, ફર્નિચર, રાચરચીલુ તણાવા લાગ્યું. માણસ લાચાર બની ગયો. પોલીસ, પાલિકા, ફાયર વિભાગ, એન.ડી.આર.એફ. કાર્યરત તો છે પણ ક્યાં ક્યાં પહોચવું ચારે તરફ રેલની બુમાબુમ છે. તે મધ્યે સામાજીક સંસ્થાઓ, સ્વયંસેવકો, લોકોને મદદ કરવા દોડાદોડી કરી રહ્યા છે પરંતુ અપુરતી જ સેવા સાબિત થઈ રહી છે. ક્યાંક ગુસ્સો છે. ક્યાંક લાચારી છે. કુદરતી આફત સામે બધા ઝઝૂમી રહ્યા છે. ક્યાંક પોલીસે સલામતિ માટે રોડ બંધ કર્યા છે. બંદોબસ્ત તહેનાત કરાયો છે. કોઈ વધુ અનહોની ના ઘટે તેની તકેદારીઓ રખાઈ રહી છે. એક દિવસ હળવા વરસાદે વિરામ લીધેલો તેની થોડી કળ વળી હતી ત્યાંબુધવારે રાત્રે વલસાડ વિસ્તારમાં ફરી આભલુ ફાટયુ અને ઔરંગા નદીમાં ચોથી વાર પૂર આવ્યું. લોકો વધુમાં વધુ મુસીબતમાં મુકાઈ ચૂક્યા છે. વરસાદ અટકે તો જ વલસાડ અને ગ્રામ્ય વિસ્તારની વેળા વળે એમ છે. બાકી વહીવટી તંત્ર ક્યાં ક્યાં પહોંચી શકે?