(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકામાં ગુરૂવારના રોજ કાવેરી, અંબિકા અને ખરેરા સહિતની લોકમાતાઓમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી અને અનેક લોકોનાં ઘરો અને ઘરવખરીને મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ, પ્રદેશ ભાજપના સભ્ય ડો.અમીતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ, મહામંત્રી શ્રી સમીરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ સહિતનાઓ દ્વારા ભાજપના કાર્યકરો સાથે કઠોળ, તેલ, કાંદા-બટાટા, લોટ, ચા, ખાંડ, મરચું, મીઠું, હળદળ સહિતની ચીજ વસ્તુઓની 1500 જેટલી કીટ તૈયાર કરી હતી. અને પુર અસરગ્રસ્ત હરણગામ, મજીગામ, મલવાડા, આલીપોર, ફડવેલ, કાંગવઇ, સાદકપોર, ખૂંધ, તલાવચોરા, માણેકપોર સહિતના ગામોમાં રવાના કરવામાં આવી હતી. આ સાથે 1700 જેટલા ફૂડ પેકેટનું પણ વિતરણ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોના ઘરમાંપુરના પાણી ફરી વળતા ઘરમાં કાદવ કીચડ થતા લોકો સાફ સફાઈમાં જોતરાયા હતા. ત્યારે આવા અસરગ્રસ્ત લોકો માટે અલગ અલગ ગામોમાં આગેવાનો સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસોડા ચલાવી લોકોને ભોજન પૂરું પાડ્યું હતું.
ભાજપના સેવાકાર્યમાં આર્ય ગ્રુપ સમરોલીના કલ્પેશભાઈ મલવાડા, પૂર્વ ડેપ્યુટી સરપંચ પર્વત પટેલ, યુવા મોરચાના પ્રમુખ રવિભાઈ હરણીયા, ભાજપના મહિલા મોરચાના મહામંત્રી અનસૂયાબેન સહિતના અનેક લોકો જોડાયા હતા. ભાજપ દ્વારા પુરપીડિતો માટે યુધ્ધના ધોરણે કીટ તૈયાર કરી મદદરૂપ થતા અસરગ્રસ્ત પરિવારોને રાહત થવા પામી હતી.