વંકાલ ગામમાં અધિકારીઓ સાથે પૂર્વ સરપંચ દિપકભાઈ પટેલ, અગ્રણી જીતુભાઈ પટેલ, દિપકભાઈ સોલંકી, ભગુભાઈ પટેલ, રમણભાઈ પટેલ સહિત ગામનાં આગેવાનો મળી સર્વે હાથ ધર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકામાં કાવેરી, અંબિકા અને ખરેરા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક કોતરોમાં આવેલા પુરમાં અનેક માર્ગો ધોવાયા હતા અને ઠેર ઠેર ગાબડા પણ પડ્યા છે. અને ડામરની સપાટી ગાયબ થઈ જવા પામી છે. તાલુકાના દોણજાના તલખોડ ફળિયાનો માર્ગ, મલવાડાનો મુખ્ય માર્ગ, ખુડવેલ ચાર રસ્તા પાસે નાળાનું, સાદકપોર ગામે ગોલવાડ-હળપતિવાસમાં જતો માર્ગ, બોડવાંક ગામે આંતરિક માર્ગ, ઝરીમાં આંતરિક માર્ગ, થાલામાં ગૌચરણ ફળિયાનો માર્ગ, ગોડથલ મંદિરથી અગાસી તરફ જતા કોઝવે પર,ગોડથલ પંચાયત કચેરીનો માર્ગ, માંડવખડકમાં આંતરિક માર્ગો, ફડવેલ તલાવડીથી મંદિર તરફનો, ફડવેલ નાગજી ફળીયા રોડ, ફડવેલ અંબાચ રોડ, સુંઠવાડમાં આંતરિક માર્ગો, બામણવેલ, માણેકપોર સહિતના ગામોમાં અનેક માર્ગોનું ધોવાણ થઈને ડામરના પોપડાઉખડી જવા પામ્યા છે અને મેટલના હાડપિંજર દેખાતા થઈ જવા પામ્યા છે. માર્ગ મકાન વિભાગને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.
તાલુકાના ખૂંધ, સાદકપોર, સુંઠવાડ, તલાવચોરા સહિતના અનેક ગામોમાં આંબા, ચીકુના ઝાડો પાણીના પ્રવાહથી ઉખડીને જમીનદોસ્ત થયા છે. આ ઉપરાંત શેરડી, સુરણ, કંદ વિગેરે પાકોને પણ નુકશાન થવા પામ્યું છે. ખેતરોમાંથી પાણી વહેતા ડાંગરના ધરૂને નુકશાન પહોંચ્યું છે. તાલુકામાં ખેતીપાકોને પણ મોટું નુકસાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતીવાડી શાખા દ્વારા ચાર જેટલી ટીમો બનાવી ખેતીવાડીમાં નુકશાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ચીખલી તાલુકામાં 46-જેટલા પુર અસરગ્રસ્ત ગામોમાં પ્રાંત અધિકારી અમિત ચૌધરી, મામલતદાર ડી.એમ.મહાકાળ, ટીડીઓ હિરેન ચૌહાણ, નાયબ મામલતદાર સુરેશભાઈ દેસાઈ, વિજયભાઈ રબારી સહિતના અધિકારીઓની નિગરણીમાં 69-જેટલી ટિમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વ બાદ તાલુકામાં નુકસાની અંગેની સાચી હકીકત બહાર આવશે અને ત્યારબાદ સહાય પણ ચુકવવાની કામગીરી હાથ ધરાશે. તલાવચોરા, ખૂંધ સહિતના ગામોમા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર, ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્યડો.અમીતાબેન પટેલ, ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ, મહામંત્રી શ્રી સમીરભાઈ સહિતનાઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.