વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: માણસનો ગુસ્સો કયારેય વિનાશ ન કરે તે કહેવું મુશ્કેલ છે. જ્યારે ગુસ્સામાં કરેલું કળત્ય પાછળથી પસ્તાવો આપે પરંતુ પાણી વહી ગયા બાદ પાર બાંધી શકાય નહીં તેમ ગુસ્સામાં કરેલું કર્મ પાછું લઈ શકતું નથી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના નોગામા ગામના પહાડ ફળીયા ખાતે રહેતા આશીક વિનોદભાઈ ધો.પટેલ (ઉ.વ. 26) જે શુક્રવારની સાંજના છ એક વાગ્યાના અરસામાં પહાડ ફળિયામાં મિત્રો સાથે બેઠો હતો. દરમ્યાન ત્યાંથી પસાર થતા દીપક દિનેશભાઈ ધો.પટેલ અને પ્રકાશ ઉર્ફે પંકજ નગીનભાઈ ધો.પટેલ ત્યાંથી પસાર થતા હતા. ત્યારે આશિકને કોઈપણ કારણો વગર મા-બેન સમાણી ગમે તેમ ગાળો આપી ત્યાંથી ઘરે જતા રહ્યા હતા. બાદ આશીક રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં આરોપી દિપક દિનેશભાઈ ધો.પટેલ અને પ્રકાશ ઉર્ફે પંકજ નગીનભાઈ પટેલના ઘરે જઈ ગાળો કેમ આપી તે બાબતે પૂછતાં બંનેઆરોપીએ નાલાયક ગાળો આપી ઘરેથી ચાલી જા નહિ તો અહીંયા જ પતાવી દઈશું તેવી ધમકી આપી એકદમ ઉશ્કેરાઈ જઈ દિપક પટેલે આશીક પટેલના બંન્ને હાથ પકડી રાખી તેમજ પ્રકાશ ઉર્ફે પંકજ પટેલે ગળાના ભાગે જોરથી પકડી દબાવી રાખતા પત્ની તેમજ મિત્ર કલ્પેશ પટેલ તથા અમર પટેલ છોડાવવા જતા તેને પણ નાલાયક ગાળો આપી ઢીકામુક્કીનો માર મારવામાં આવ્યો હતો. બાદ આશીક પટેલને 108ની મદદથી સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ મરનારની પત્ની દીનાબેન આશિકભાઈ ધો.પટેલ (ઉ.વ. 25) એ કરતા પોલીસે આરોપી દિપક દિનેશ ધો.પટેલ (ઉ.વ. 25), પ્રકાશ ઉર્ફે પંકજ નગીનભાઈ પટેલ (બન્ને રહે.નોગામા પહાડ ફળીયા તા.ચીખલી) સામે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઈ કે.જે.ચૌધરી કરી રહ્યા છે.
આશીકના મૃત્યુથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આશીક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. અને પરિવારમાં પત્ની અને વૃધ્ધ દાદીમા રહે છે. આશીક પરિવારનો એક માત્ર આધાર સ્તંભ હતો. આશીકના સાવકા પુત્રનું પણ એક વર્ષ અગાઉ બીમારીના કારણે અવસાન થયું હતું. જ્યારે આશિકના માતા-પિતાનું પણ ઘણા વર્ષો પહેલા મૃત્યુ થયુંહતું. આશિકના મૃત્યુથી પરિવારે આધાર સ્તંભ ખોયો છે.