સગર્ભા મહિલાઓ માટેના પૌષ્ટિક આહારની આ યોજનાના પ્રારંભે સાદકપોરની 3પ જેટલી બહેનોએ લાભ લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: સાદકપોરમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહીર, જિલ્લાના પ્રભારી અને મહિલા બાળ વિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલા, ડીડીઓ અર્પિત સાગર, બાંધકામ અધ્યક્ષ દિપાબેન, પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ,ન્યાય સમિતિના વૈભવભાઈ બારોટ, જિલ્લા પંચાયત સભ્ય રમીલાબેન, કારોબારી સભ્ય શ્રી રમેશભાઈ, સરપંચ શ્રી દશરથભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં પોષણસુધા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં જિલ્લા બાળ વિકાસ અધિકારી રંજનબેન પટેલે ઉપસ્થિતોને આવકારી પોષણસુધા યોજના વિશે જાણકારી આપી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલે જણાવ્યું હતું કે, સરકારે સગર્ભા બહેનોની ચિંતા કરી પોષણસુધા યોજના અમલમાં મૂકી છે. જે ખૂબ આનંદની વાત છે. ગામમાં કોઈ બહેન સગર્ભા થાય એટલે આઈસીડીએસ અને આરોગ્ય વિભાગના કર્મચારી પહોંચી જ જતા હોય છે. હવે પોષણસુધા યોજના શરૂ થતાં સોનામાં સુગંધ ભળી છે. તંદુરસ્ત બાળકોના જન્મ થાય અને માતા પણ તંદુરસ્ત રહે તે માટે કેલ્શિયમ સહિતનો પૌષ્ટિક ગરમાં ગરમ આહાર આ યોજના હેઠળ આંગણવાડી ઉપર સગર્ભા બહેનોને ઉપલબ્ધ થશે.
સચિવ કે.કે. નિરાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષેત્રે આગળ છે. ત્યારે તંદુરસ્ત બાળકોની બાબતે પાછળ ન રહે તે માટે સગર્ભા બહેનો માટેમુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં 811-કરોડ રૂપિયા અને ટ્રાયબલ તાલુકાઓમાં પોષયસુધા યોજના માટે 116-કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી છે. ત્યારે તેનો તમામ સગર્ભા બહેનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિરે જણાવ્યું હતું કે સગર્ભા બહેન નબળી ન રહે બાળક નબળું ન જન્મે તે માટે આંગણવાડીના માધ્યમથી સગર્ભા બહેનો માટે આ પોષણસુધા યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
ચીખલીના સીડીપીઓ મધુબેન પટેલે પોષણસુધા યોજના માટે ચીખલીના ત્રણેય ઘટકો માટે જરૂરી ગ્રાંટ પણ જમા થઈ ગઈ છે. અને તેમણે યોજનાના સૂચારૂં અમલીકરણ માટે ખાતરી આપી આભારવિધિ કરી હતી.