(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી જીલ્લામાં અતિવૃષ્ટિના લીધે આવેલા પૂરમાં નવસારી જિલ્લાના ૬ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સયુંકત પશુપાલન નિયામકશ્રી, ગાંધીનગર અને વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, વડોદરાના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન ખાતાની ૧૫ ટીમો ના ૯૭ અધિકારી/કર્મચારીઓ દ્વારા ૧૦૯ ગામોમાં પશુમરણ સર્વે તેમજ જરૂરી પશુસારવાર અને પશુમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જેમાં અત્યાર સુધીમાં સર્વે દરમ્યાન નવસારી પાંજરાપોળ ખાતે ૬૫ અને ગણદેવી તાલુકાના જુદા જુદા ગામોમાં કુલ ૧૩ પશુ અને ૧૫૦૩૫ મરઘાઓનું મરણ નોંધાયેલ છે .જેઓના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સર્વેની કામગીરી સાથોસાથ અત્યાર સુધી અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત ગામોમાં જિલ્લાના પશુદવાખાના દ્વારા તાત્કાલિક પશુસારવાર આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યો છે.
વધુમાં જરૂરિયાતમંદ ગામોમાં આગામી દિવસોમાં પશુસારવાર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આજદિન સુધી નવસારી, જલાલપોર, ખેરગામ અને વાંસદા તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.