વાઘલધરાથી ભિલાડ સુધીના જિલ્લાના હાઈવેએ ચારના ભોગ લીધા છે, વાહનો રોજ પલટી મારી જાય છે : સરપંચ સંઘ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: સતત સાત દિવસ વરસેલા અતિ વરસાદે નેશનલ હાઈવેની ભયંકર ખાના ખરાબી સર્જી છે. વલસાડ જિલ્લામાં વાઘલધરાથી ભિલાડ સુધી હાઈવે પસાર થાય છે. આ હાઈવે ઉપર વરસાદમાં હજારો જગ્યાએ વિકરાળ ખાડા પડી ચૂક્યા છે. જેને લઈ વિતેલા એક સપ્તાહમાં ખાડાઓએ ચાર નિર્દોષના જીવ લીધા છે. હાઈવે ઓથોરીટીની બેદરકારી સામે આજે સોમવારે વલસાડ તાલુકા વિસ્તારના 45 જેટલા ગામોના સરપંચોએ બાંયો ચઢાવી હતી. વલસાડ કલેક્ટર કચેરીએ એકત્ર થઈ સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે દિન પાંચમાં હાઈવે મરામત નહી થાય તો ચક્કાજામ કરી દઈશું તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
વલસાડ જિલ્લામાં ગત સપ્તાહે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી તેમાં નેશનલ હાઈવેએ પણ જવાબ આપી દીધો હતો. ભિલાડથી લઈ વાઘલધરા સુધી હજારો ખાડા પડી ચૂક્યા છે. જેને લઈ વલસાડ ડુંગરીનો એક આખો પરિવાર હાઈવેના ખાડામાં બાઈક પલટી મારી જતા અકસ્માતમાં નંદવાઈ ગયો હતો. વાપીમાં રાજપૂત કર્ણી સેના દમણના પ્રમુખનીગાડી પલટી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. હાઈવે ઓથોરીટીની બેદરકારી અને હાઈવે મરામતના અભાવ સામે સમગ્ર જિલ્લામાં રોષ પ્રવર્તી રહ્યો છે. વલસાડ વિસ્તારના 45 ગામોના સરપંચોએ હાઈવે સમારકામ માટે માંગ બુલંદ કરી દિન પાંચમાં હાઈવે રીપેરીંગ નહી થાય તો ચક્કાજામ કરીશુ તેવી આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્ચારી હતી.