(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય સામે પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ નૈતૃત્વ લઈ તેના રચનાત્મક અને લોકશાહી ઢબે વિરોધ માટેનો તખ્તો વિશાળ જનહિતમાં પોતાનું દાયિત્વ સમજીને તૈયાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રદિપ ભાવસાર,અસલીઆઝાદી દૈનિકના તંત્રી શ્રી વિજયભાઈ ભટ્ટ, સવેરા ઈન્ડિયા ટાઈમ્સના તંત્રી શ્રી સતિષભાઈ શર્મા અને વર્તમાન પ્રવાહના તંત્રી શ્રી મુકેશ ગોસાવી દ્વારા પ્રદેશના વિદ્યુત વિભાગના થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કરવા મજબૂત જનમત તૈયાર કરવાનો પણ નિર્ણય લીધો છે.
અત્રે યાદ રહે કે, સવેરા ઈન્ડિયા ટાઈમ્સના તંત્રી શ્રી સતિષ શર્માએ મુંબઈ હાઈકોર્ટમાં વિદ્યુત વિભાગના ખાનગીકરણના મુદ્દે દાયર કરેલ જનહિત યાચિકાની સુનાવણી સુપ્રિમ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે.
સંઘપ્રદેશના ચાર વરિષ્ઠ પત્રકારો દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગને ખાનગી હાથોમાં જતુ બચાવવા શરૂ કરાયેલા પ્રયાસોમાં આમ જનતાના સહકારની પણ અપેક્ષા વ્યક્ત કરી છે.કારણ કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિદ્યુત સંબંધી અત્યાર સુધી કોઈ સમસ્યા નથી. સમગ્ર દેશમાં સસ્તામાં સસ્તી વિજળી મળવાની સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિદ્યુત વિભાગ દર વર્ષે મબલખ નફો પણ રળી રહ્યું છે ત્યારે, પ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરવું હિતાવહ નહીં હોવાનું દેખાય છે તેથી ભારત સરકારને વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરવા પણ પ્રયાસો હાથ ધરાયા છે.