(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના નરોલી ગામે મંગળવારના રોજ બ્રાહ્મણ ફળિયા એકયુવાનની રહસ્યમય સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાના કેસમાં પોલીસે આઈપીસી 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાકેશ અરવિંદ હળપતિ (ઉ.વ.30) રહેવાસી દાદરા જે નરોલી એના સાસરે આવ્યો હતો. ત્યારબાદ એની માસીનું ઘર પણ નજીક જ હોય ત્યાં રાત્રી દરમ્યાન રોકાયો હતો. મંગળવારના રોજ સવારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એની નિર્મમ હત્યા કરી ઘર નજીક શેડમાં નાંખી ગયા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન એમની ટીમ સાથે ઘટના સ્થળની મુલાકાત લઈ અને તરત જ એસએચઓ શ્રી અનિલ ટી.કે અને નરોલી આઉટપોસ્ટના પીએસઆઈ શ્રી સુરજ રાઉતને તપાસ સોંપવામાં આવી હતી. ગુનાની સ્થળ તપાસ અને સાક્ષીઓની પુછપરછ બાદ ટીમે એક આરોપીની અટક કરી હતી. બાદમાં એણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ ઘટનામાં બે આરોપી સુરેશ રમન હળપતિ (ઉ.વ.44) રહેવાસી બ્રાહ્મણ ફળીયા નરોલી અને રવિન્દ્રભાઈ બલભાઈ હળપતિ (ઉ.વ.32) આ બન્ને આરોપીઓની ધરપકડ કરવામા આવી છે, સાથે ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલ કુહાડી પણ જપ્ત કરવામાં આવી છે.