સંસ્થાના પૂર્વ ચેરમેન જોગીભાઈ ટંડેલે દમણ-દીવના આઝાદીના ઈતિહાસથી લઈ વર્તમાન સુધીની વર્ણવેલી ગાથા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : મહાત્મા ગાંધી મેમોરિયલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આજે દમણ-દીવના 62મા મુક્તિ દિવસની ઉજવણી આનંદ અને ઉત્સાહની સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાલયના પૂર્વ સેક્રેટરી સ્વ. દેવચંદભાઈ ટંડેલના સુપુત્ર અને સંસ્થાના સભ્ય શ્રી મૃદુલભાઈ દેવચંદભાઈ ટંડેલ દ્વારા વિદ્યાલયના મેદાનમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના પૂર્વ ચેરમેન શ્રી જોગીભાઈ ટંડેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં દમણનો ઈતિહાસ અને દમણ-દીવની વિજયગાથા જણાવી હતી.તેમણે દમણના સાંસ્કૃતિક મૂલ્યોની બાબતમાં પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહેમાનો તથા વાલીઓને અવગત કર્યા હતા.
સંસ્થાના ચેરમેન શ્રી જીજ્ઞેશ જોગી, વાઈસ ચેરમેન શ્રી વિવેક ભાઠેલા તથા સેક્રેટરી શ્રી રુદ્રેશ ટંડેલે મુક્તિ દિવસ ઉપર પોતાનો સંદેશ રજૂ કર્યો હતો.
મુક્તિ દિવસના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓ દ્વારા પરેડ, દેશભક્તિ ગીત, અભિભાષણ અને ઈનામ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પૂર્વ ચેરમેન શ્રી જોગીભાઈ ટંડેલ, સંસ્થાના એક્ટિવ ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ, સભ્ય શ્રી જયંતિભાઈ, શ્રી મૃદુલભાઈ, શ્રી હરજીભાઈ તથા વિદ્યાલયના આચાર્ય શ્રી દિપકભાઈ મિષાી, માધ્યમિક વિભાગના આચાર્યા શ્રીમતી શીતલબેન પટેલ સહિત શિક્ષકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ વિદ્યાલયમાં શિક્ષણનું કાર્ય પણ ચાલુ રહ્યું હતું.