ધો.9 માં અભ્યાસ કરતો જયસન સુમરેકર ચાર-પાંચ દિવસથી સ્કૂલ જતો નહોતો : ફ્રી ફાયર ગેમના રવાડે ચઢી ગયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વલસાડમાં આજે વહેલી સવારે સમાજને લાલબત્તી ધરતી ઘટના બની હતી. માતા દ્વારા સ્કૂલે જવાનું કહેવાતા માઠું લાગતા કિશોરે પોતાના ઘરની છત ઉપર ચઢીને મોતની છલાંગ લગાવી દેતા કિશોરનું સારવારમાં મોત નિપજ્યુ હતું.
સમાજને ઝકઝોળી નાખે તેવી ઘટના વલસાડના કૈલાસનગર શેઠીયાનગર વિસ્તારમાં ઘટી હતી. ઋષિકેશ એપાર્ટમેન્ટના ત્રીજા માળે પન્નાબેન ભીખુભાઈ સુમરેકર ફલેટ નં.301માં રહે છે. આજે બુધવારે સવારે તેમણે પૂત્ર જયસનને સ્કૂલે જવાનું કહેલું પણ ત્રણ-ચાર દિવસથી સ્કૂલે જતો નહોતો તેથી માતાએ દબાણ કરેલું તેથી 15 વર્ષિય જયસન સીધો ટેરેશ ઉપર ચઢીને મોતની છલાંગ લગાવી પડતું મુક્યું હતું. લોકોએ તાત્કાલિક 108માં કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડી લીધો હતો. પરંતુ અતિગંભીરઈજાઓથી તબીબો તેનો જીવ બચાવી શક્યા નહોતા. ઘટનાની ભીતરમાં કથિત બહાર આવેલ વિગતો મુજબ જયસન અબ્રામા ઈંગ્લીશ મીડિયમ ખાનગી સ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરતો હતો. તેમજ મોબાઈલની ફ્રી ફાયર ગેઈમ રમવાની લતે ચઢી ગયો હતો તેથી ભણવા જવું ગમતું નહોતું. સ્કૂલમાં ગેઈમ રમાઈ નહી તેથી માઠું લાગી ગયેલું અને અંતિમ પગલું ભરી લીધું હતું. વિદ્યાર્થીઓની આપઘાતની વલસાડમાં સતત બીજા દિવસે બીજી ઘટના બની છે. જે સમાજ, શાળા પરિવારોએ તેની ગંભીરતા લેવી ઘટે.