જિલ્લામાં ગુરૂવારે નવા 22 કોરોના કેસ નોંધાયા : આરોગ્ય વિભાગ દોડતો થયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.28
વલસાડ જિલ્લા કોરોના સંક્રમણ માંડ માંડ થાળે પડતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ હાશકારો લાંબો સમય ટક્યો નથી. પાછલા કેટલાક દિવસથી ફરી કોરોના માથુ ઉચકી રહેલો જણાયો. રોજેરોજ અલગ અલગ વિસ્તારોમાં બે, પાંચ કોરોના સંક્રમિત દર્દીઓ રોજેરોજ જોવા મળવા લાગ્યા હતા પરંતુ આજે ગુરૂવારે કોરોનાએ કહેર વર્તાવ્યો છે. જિલ્લામાં કુલ 22 કોરોના કેસ નોંધાયા હતા. તે પૈકી કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયમાં 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો હતો.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ 13315 કોરોના સંક્રમિત દર્દી સરકારી ચોપડે નોંધાયા છે તે પૈકી 12731 દર્દી સાજા થયેલા છે જ્યારે હાલમાં 85 દર્દી સંક્રમિત થયેલા છે તેમજ 87 દર્દીના મૃત્યુ થયા નો સરકારી અહેવાલ છે. ચોમાસાની અતિવૃષ્ટિમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું હોવાનું જણાઈ રહ્યું છે. અંભેટી નવોદય વિદ્યાલયના એક સાથે 13 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયાના સમાચાર બાદ આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ હતી તેમજ સ્કૂલના અન્ય બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા છે.