અન્ય બે જેટલા ઘરના પણ રાત્રીના સમયે તાળા તૂટયા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતી ફરિયાદી મૌસમીકુમારી સુનિલભાઈ ધો.પટેલ (રહે.પ્લોટ નં-17, વૃંદાવન સોસાયટી રાનકુવા તા.ચીખલી) 16-સપ્ટેમ્બરના રોજ સાંજે પતિ અને પુત્રો સહિતના પરિવાર સાથે તેમના વાંસદા તાલુકાના ઝરીગામ ડુંગરી ફળીયા પિયર ખાતે રાત્રે રોકાયા હતા. આ દરમ્યાન તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશી લોખંડનાકબાટમાંનો સામાન વેર વિખેર કરી નાંખી કબાટની તિજોરીમાં મુકેલ આશરે દોઢ તોલાનું રૂા.60,000 ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ચોરી ગયેલાનું જણાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવે હાથ ધરી હતી.
જોકે વૃંદાવન સોસાયટીમાં જ ભાડુઆત તરીકે રહેતા કેયુરસિંહ અમૃતસિંહ પરમારના ઘરે પણ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ત્યાં કંઈ હાથ લાગ્યું ન હતું. તેમજ વિલાસબેન જયેશભાઈ પટેલના ઘરે પણ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતંું. ફરિયાદમાં ત્રણેય ઘરે ચોરીનો ઉલ્લેખ છે. જ્યારે આસપાસની અન્ય બે સોસાયટીમાં પણ કેટલાક ઘરોને નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રાનકુવામાં એક સાથે એક કરતાં વધારે ઘરોના તાળા તૂટતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવવા પામ્યો હતો.