-
પહેલા 12થી 15 કલાક એવરેજ વીજળી મળતી હતી હવે 22.5 કલાક વીજળી મળે છે: જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ
-
વડાપ્રધાનશ્રીએ દેશભરના વીજ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કર્યો
-
કુટિર જ્યોતિ યોજના અને ખેતીવાડી વીજ જોડાણ સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય પત્ર અપાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ તા. 30
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપક્રમે વલસાડ જિલ્લાના પારડી ખાતે મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર@2047ની થીમ આધારિત વીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલી રીતે દેશભરના વીજ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે વીજ લાભાર્થીઓને સહાય પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદેથી વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યુ કે, પહેલા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતિયાળ વિસ્તારમાં વીજળી પહોંચાડવાનુ કામ ખુબ જ અઘરુ હતુ, પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે તમામ ગામડાઓમાં વીજળી પહોંચી રહી છે. શહેરોમા જેમ 24 કલાક વીજળી મળતી હતી, તેવી જ રીતે હવે ગ્રામ્ય વિસ્તારમા પણ વીજળી મળી રહે છે. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. નવા સબ સ્ટેશનની સંખ્યા વધતા નિરંતર વીજળી મળી રહી છે. ફરિયાદોનો પણ હવે ઝડપથી નિકાલ થઈ રહ્યો છે અને સતત વીજળી મળી રહી છે. પહેલા 12થી 15 કલાક એવરેજ વીજળી મળતી હતી હવે 22.5 કલાક વીજળી મળી રહે છે.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યુ કે, ભારતમાં વર્ષ 2014 બાદ માનનીય વડાપ્રધાનશ્રી મોદીએ જે ગામોમાં વીજળી ન હતી ત્યાં પહોંચાડવાનું કામ કર્યુ છે. સમગ્ર ગુજરાતમા 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ આ સરકારે કર્યુ છે.
સોલર સિસ્ટમ પર વધુ ભાર મૂકી વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલે જણાવ્યું કે, હવે ભારતની ગણના વૈશ્વિક સ્તરે થઈ રહી છે. ઉર્જા ક્ષેત્રે નવીનીકરણ થઈ રહ્યું છે એક સમય એવો હતો કે જ્યારે વીજળીની ઘટ હતી પરંતુ હવે આપણે વીજળી વેચી રહ્યા છે.હાલમાં કચ્છથી મ્યાનમાર સુધી વીજળી પહોંચી રહી છે.
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. ના ચીફ મેનેજર દિલીપભાઈ કસ્તૂરેએ જણાવ્યું કે, સ્માર્ટ મીટરથી પ્રજાને પોષાય એવી વીજળી મળી રહેશે.
વીજળી મહોત્સવ કાર્યક્રમમા કુટિર જ્યોતિ યોજના અને ખેતીવાડી યોજના હેઠળ ઘરેલુ વિજ જોડાણ મેળવનાર લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને બુકલેટ એનાયત કરવામાં આવ્યા હતા. વીજ ક્ષેત્રમાં ઉપલબ્ધી અંગે શોર્ટ ફિલ્મ દર્શાવવામા આવી હતી. તેમજ નુક્ક્ડ નાટક રજૂ કરવામા આવ્યુ હતુ. ઘડોઈ ગામના મંડળના કલાકારો દ્વારા ઘેરયા નૃત્ય રજૂ કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમમાં પારડી તાલુકા પંચાયતના પ્રમુખ મિત્તલ પી.પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઇ ઘરેલ, વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, જિલ્લા પંચાયતના સભ્ય મિત્તલબેન જે.પટેલ અને મીનાક્ષીબેન ગાંગુડા તેમજ વીજ કમ્પનીના મુખ્ય ઈજનેર બી.કે.પટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિ. ના ચીફ જનરલ મેનેજર ટી.આર.ક્રિશ્નાકુમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અશ્વિનભાઈ પંડ્યાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ વાપીના નાયબ ઈજનેર બેલાબેન જેટલીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલસાડ સર્કલના ડેપ્યુટી ઈજનેર એ.કે.પટેલે કર્યું હતું.