દીવમાં જી-20ના આયોજનને સફળ બનાવવા અધિકારીઓને આપેલી દિશા-દોરવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ,તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે ઘોઘલા તથા બુચરવાડા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી રહેલા મકાનોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં તેમનેકામની ગુણવત્તા અને સુવિધામાં કમી દેખાતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કડક ભાષામાં સમજ આપી હતી. તેમણે તમામ આવાસ સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવવા અને નિર્માણ દરમિયાન ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં કરવા સીધી સૂચના આપી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં વિકાસ સંબંધિત ચાલી રહેલ વિવિધ પરિયોજનાઓ જેમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, જેઠીબાઈ બસ સ્ટેન્ડ, દીવ ફોર્ટ વગેરેની સમીક્ષા બેઠક કરી હતી અને તેના સંદર્ભમાં અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.
બપોરે પ્રશાસકશ્રીએ જી-20ના સમગ્ર આયોજન અંગે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ માટે સમીક્ષા બેઠક કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને દિશા-નિર્દેશ આપ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી ગૌરવસિંહ રાજાવત, શ્રી ડી.એ.સત્યા, મુખ્ય વન સંરક્ષક શ્રી રાજ કુમાર, ડી.આઈ.જી.પી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્બેરે, દીવના કલેક્ટર શ્રી ફરમન બ્રહ્મા, એસ.પી. શ્રી મણિભૂષણ સિંહ, વન સંરક્ષક શ્રી પ્રશાંત રાજગોપાલ, સમાજ કલ્યાણ સચિવ શ્રીમતી રૂચિકા કાત્યાલ, કૃષિ સચિવ શ્રી રવિ ધવન, ડેપ્યુટી કલેક્ટર શ્રી ડો. વિવેક કુમાર, મામલતદાર શ્રી ધર્મેશ દમણિયા, ડી.વાય.એસ.પી. શ્રી મનસ્વી જૈન તથા પી.ડબ્લ્યુ.ડી.ના અધિકારીઓ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.