મંકીપોક્સને લઈ આરોગ્ય વિભાગ થયું સાવધાન, તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈઃ ડો. વી.કે.દાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દુનિયાભરમાં મંકીપોક્સ વાયરસે ધૂમ મચાવી છે. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ અત્યાર સુધી દુનિયાના 78 દેશોમાં 20 હજારથી વધુ કેસો નોંધાયા છે. ભારતમાં પણ આ બિમારીના 4 દર્દીઓ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠને મંકીપોક્સને આંતરાષ્ટ્રીય ચિંતાની વૈશ્વિક સાર્વજનિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. એને ધ્યાનમાં રાખતા આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી વિકાસ આનંદની અધ્યક્ષતામાં મંકીપોક્સ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રશાસનના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યોજાયેલી બેઠકમાંમાહિતી આપતા આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે જણાવ્યું હતું કે, મંકીપોક્સ વાયરસના કારણે થતી સંક્રામક બિમારી છે. આ એક જુનોટિક બિમારી છે જે મનુષ્યોને કેટલાક પશુઓના સંપર્કમાં આવવાથી, મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી, સંક્રમિત વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવાથી કે સંક્રમિત વ્યક્તિઓના સામાન જેવા કપડાના ઉપયોગ કરવાથી થઈ શકે છે. એના લક્ષણ તાવ, માથાનો દુઃખાવો, માંસપેશીઓમાં દુઃખાવો, સૂજેલી લસિકા ગાંઠો અને થાકનો અનુભવ કરવા સાથે શરૂ થાય છે. એના પછી શરીર પર ચાઠા પડે છે જેના ઉપર ફોલ્લાં અને પોપડા બને છે. આ બિમારીને લઈ આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાની માહિતી પણ આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે આપી હતી. જેમાં તમામ આરોગ્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે તથા દર્દીઓની સારવાર માટે જિલ્લાની દરેક હોસ્પિટલોમાં અલગથી આઈસોલેશન વોર્ડ બનાવાયા છે. કેટલીક સાવચેતી રાખવાથી તમે આ બિમારીથી બચી શકો છો, જેમ કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં આવવું, હંમેશા વ્યક્તિગત સ્વચ્છતા રાખવી, હાથોને સાબુથી બરાબર ધોવા વગેરે. આ સાથે તેઓએ પ્રદેશના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ બિમારીથી ડરે નહીં, જો કોઈને પણ કોઈપણ લક્ષણ દેખાયતો તાત્કાલિક પોતાને નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને તેમની તપાસ અને સારવાર કરાવી શકે છે. વધુ જાણકારી માટે તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર કે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરવો.