પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વાલીઓને દેશનીઆઝાદીના 7પ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે આયોજીત હર ઘર તિરંગા કાર્યક્રમની આપવામાં આવેલી વિસ્તૃત સમજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
સંઘ પ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના પ્રદેશમાં આગમન સાથે આપણા પ્રદેશમાં ભારત સરકારશ્રી દ્વારા લાગું પાડવામાં આવનાર વિવિધ યોજનાઓનો પુરેપુરો લાભ તેમજ અમલીકરણ થાય તે માટે પ્રશાસકશ્રીના વિશેષ માર્ગદર્શન હેઠળ આપણો પ્રદેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના 7પમા વર્ષને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ રૂપે ઉજવણીના વર્ષાંતે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં એક સાથે મેગા પેરેન્ટ ટિચર્સ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને વાલીઓને ભારત દેશની આઝાદીના 7પ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જે અંતર્ગત તારીખ 13-08-2022 થી 1પ-08-2022 સુધી દરેક ઘરે તિરંગો ફરકાવવા વિશે તથા તિરંગાની ગરિમા જાળવવા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો દ્વારા કરવામાં આવનાર રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાજેવી પ્રવૃત્તિઓ તેમજ હરીફાઈઓ અંગે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા. પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ અંકિતા આનંદ તેમજ મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
——-