(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03
ભારત સરકારના માર્ગ વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સક્ષમ અધિકારી દ્વારા ભારતમાલા પ્રોજેકટ અંતર્ગટ સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું 19-મે 2022 ના રોજ પ્રસિધ્ધ કરી સંબંધિત ગામોના ખેડૂતો પાસે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી અને જેના અનુસંધાને ખેડૂતો દ્વારા જરૂરી વાંધાઓ, રજૂઆતો સાથેની વાંધા અરજીઓ સક્ષમ અધિકારી અને પ્રાંત અધિકારી નવસારી સમક્ષ રજૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતો વાંધા અરજીઓ અંગે ખેડૂતોને સાંભળ્યા વિના જ સક્ષમ અધિકારીના આદેશથી જમીનના 7-12 ના ઉતારામાં જમીન સંપાદન માટેની ફેરફાર નોંધ પાડી દેવામાં આવી છે. જેનેલઈને ખેડૂતોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.
સુરત-નાસિક હાઈવે માટે જમીન સંપાદન અંગેની ફેરફાર નોંધ 7-12 ના ઉતારામાં પાડી દેવાતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ વેઠવાની નોબત આવશે. ઘણા ખેડૂતોને જે તે બ્લોક નંબરના ક્ષેત્રફળ પૈકી પૂરેપૂરી જમીન તો સંપાદિત થશે નહીં પરંતુ આ નોંધ પાડી દેવાથી ખેડૂતોએ લોન લેવી હોય કે જમીનનો વિકાસ કરવો હોય તો તે કરી શકાશે નહિ અને હાઈવે માટેની લાઈનદોરીનું પણ કઈ નક્કી ન હોય તેવામાં ખેડૂતો અવઢવભરી સ્થિતિમાં મુકાશે. તંત્ર દ્વારા મનમાની કરી ખેડૂતોને વાંધા અંગે સાંભળ્યા પૂર્વે જ ધરાર 7-12 માં ફેરફાર નોંધ પાડી દેવામાં આવી છે.
ચીખલી તાલુકાના નોગામાં, બોડવાંક, ટાંકલ, કુકેરી, સારવણી, માંડવખડક, કાકડવેલ, સુરખાઈ, વાંઝણા, રાનવેરી કલ્લા એમ દસ જેટલા ગામોમાંથી સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદિત થનાર છે.
કુકેરીના અસરગ્રસ્ત ખેડૂત ગણપતસિંહ પરમારના જણાવ્યાનુસાર સુરત-નાસિક હાઈવેની જમીન સંપાદન સામેની વાંધા અરજીઓ બાબતે નવસારી પ્રાંત અધિકારી દ્વારા 8 થી 12 ઓગસ્ટ દરમ્યાન સુનાવણી રાખવામાં આવેલ છે. તે પૂર્વે જ અમારી જમીનના 7-12 ના ઉતારામાં જમીન સંપાદન અંગેની ફેરફાર નોંધ પાડી દેવાતા ખેડૂતોને હવે અનેક મુશ્કેલીઓનોસામનો કરવો પડશે. ખેડૂતોને સાંભળ્યા પૂર્વે જ ફેરફાર નોંધ પાડી દેવાઈ હોય ત્યારે ખેડૂતોને સાંભળવા બોલાવ્યા કે પછી માત્ર સુનાવણીની ફોર્માંલીટી કરવામાં આવી રહી છે. તે ખેડૂતોને સમજાતું નથી.