અમદાવાદ-ગાંધીનગર જવા આવવાનો વધુ ધસારો હોવાથી ટ્રેનના સ્ટોપેજની માંગ ઉઠી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: તાજેતરમાં રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે નવિન વંદે ભારત નામની વધુ એક ટ્રેન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનનું સ્ટોપેજ વાપીમાં નહી હોવાથી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી. દ્વારા વંદે ભારતનું સ્ટોપેજ વાપીને મળવું જોઈએ તેવી વેસ્ટર્ન રેલવેને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વાપી અતિ વિકસિત ઔદ્યોગિક નગર છે. નિયમિત 2 લાખ ઉપરાંત લોકો વાપી સ્ટેશનથી મુંબઈ-અમદાવાદ તરફ મુસાફરી કરે છે. વાપીના ઉદ્યોગપતિઓ અને મુસાફરોને અમદાવાદ-ગાંધીનગર જવા આવવાનું નિયમિત રહે છે. તદ્દઉપરાંત દમણ-સેલવાસના મુસાફરો માટે વાપી સ્ટેશન એકમાત્ર છે. તેથી મુંબઈ-અમદાવાદ વચ્ચે નવી શરૂ થનાર વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેન શરૂ થાય તેપહેલાં તેના સ્ટોપેજની માંગણી શરૂ થઈ ચૂકી છે. વી.આઈ.એ. ચેરમેન કમલેશ પટેલ, સેક્રેટરી સતિષ પટેલ અને ઝેડ.આર.યુ.સી.સી.ના મેમ્બર લલીત કોઠારીએ વેસ્ટર્ન રેલવેને લેખિત રજૂઆત કરી વંદે ભારત એક્ષપ્રેસને વાપી સ્ટોપેજની માંગણી કરી છે.