(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દાદરા નગર હવેલીમાં મહિલાઓએ મંદિરો તથા ઘરમાં શીતળા માતાની મૂર્તિ, પ્રતિમાનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરી હતી. સેલવાસના શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓએ પૂજા-અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા. આ વ્રતના આગલા દિવસે રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા બાદ બહેનો સગડી, ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે, શીતળા સાતમના દિવસે સવારે વહેલાં ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી પૂજા-અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાઢો ખોરાક ખાઈ એકટાણુ કરવામાં આવે છે અને આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે.