છેલ્લા 6 વર્ષથી પ્રદેશની એક પણ સડક નહીં બની હોવાની આઝાદી પછીની પહેલી ઘટના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના અત્યંત બિસ્માર બનેલા રસ્તાઓના મુદ્દાને સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરે દેશની લોકસભામાં ઉઠાવ્યો હતો. સાથે કેટલીક મૂળભૂત સુવિધાઓ માટેની રજૂઆતો પણ ભારત સરકારના સંબંધિત મંત્રાલયોમાં કરવામાં આવી છે.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પ્રદેશના રસ્તાઓની ખરાબ હાલતને કારણે જે સ્થિતિ ઉદ્ભવી છે તેની લોકસભામાં જાણકારી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી ખરાબ રસ્તાઓ અને અંધાધૂંધ ખોદકામને કારણે પ્રદેશની જનતા ભારેમુસીબતોનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્ર પાસે ચોમાસુ નજીક હોવાની જાણકારી હતી તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંભીરતા દાખવી નહીં હતી અને ડિવાઈડરોને સામા ચોમાસાએ હટાવી દેવાની જરૂર જ ન હતી. જેના કારણે આજે સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. શહેરની સાથે ગામડાઓની સડકો પર પડેલા મોટા મોટા ખાડાઓ દિનપ્રતિદિન અકસ્માતો સર્જી રહ્યા છે જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. વાહનચાલકો તેમજ ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રકારના ખતરાઓ વચ્ચે અવર જવર કરવા મજબૂર થઈ રહ્યા છે.
આઝાદી પછી પહેલી વાર એવું બન્યું છે કે છ છ વર્ષ વિતવા છતાં પ્રદેશની એકપણ સડક સારી રીતે બની નથી. પ્રશાસનના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં હજુ સુધી એનું કોઈ જ સમાધાન લાવવામાં આવ્યું નથી. પ્રદેશની દરેક સડકોને ગુણવત્તાયુક્ત બનાવવાનો આદેશ જારી કરાવવા સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ભારત સરકારને આગ્રહ કર્યો છે. છેલ્લા છ વર્ષથી પ્રશાસન આ પ્રકારની મૂળભૂત સુવિધાઓને લઈ ગંભીર નહીં જણાતા પ્રજાની પિડાને દેશની સર્વોચ્ચ સદન સુધી લઈ જવાની સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને ફરજ પડી છે. સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે દેશની લોકસભામાં ઉઠાવેલા મુદ્દાને પ્રદેશવાસીઓ સહર્ષ આવકારી રહ્યા છે.