April 30, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતદેશવલસાડવાપી

ખેડૂતો માટે સરકારનો નવતર પ્રયોગઃ વલસાડ જિલ્લામાં 2568 એકર જમીનમાં ખેતીના પાક પર ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે

  • પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વલસાડ તાલુકાના અટગામ, પીઠા અને કોચવાડામાં 1500 એકર જમીન આવરી લેવાઈ

  • સરકારની નવી પહેલથી ખેડૂતના ખાતરનો બગાડ અટકશે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચશે, પાકને પણ વધારે ફાયદો થશેઃ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ

  • એક એકર દીઠ રૂ. 840નો ખર્ચ થશે, જે પૈકી રૂ. 500ની સબસિડી સરકાર બેંક ખાતામાં જમા કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: કૃષિક્ષેત્રમાં ગુજરાત સરકાર દ્વારા દિનપ્રતિદિન અત્યાધુનિક આયામો સર કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ વાર રાજ્યના દરેક જિલ્લામાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ વડે ખેતરમાં નેનો યુરિયા છંટકાવના પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. જેનો શુભારંભ વલસાડ તાલુકાના અટગામથી તા. 5 ઓગસ્ટે સવારે 9 કલાકે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાયો હતો.
અટગામ ખાતે ડ્રોન યુરિયા છંટકાવના પાયલોટ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે સરકારના આ નવતર પ્રયોગના ફાયદાની સમજ આપતા જણાવ્યું કે, નેનો યુરિયાના એક સરખા છંટકાવથી ખાતરનો બગાડ નહિવત થશે અને પાકને ફાયદો થશે. ખેતી કામમાં જરૂરી મજૂરો મળતા હોતા નથી તો તે પ્રશ્ન પણ હલ થશે. પ્રવાહી ખાતર હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચશે. ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને ખેડૂતોને સરકારી યોજનાનો લાભ પણ મળશે. જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સરળતા પડે તે માટે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીથી યુરિયા છંટકાવનો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. અનેક લાભ ધરાવતી આ યોજના ખેડૂતો માટે આર્શીવાદરૂપ બનશે.
વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, ડ્રોનથી નેનો યુરિયા છંટકાવના પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે હાલમાં વલસાડ તાલુકાના અટગામ, પીઠા અને કોચવાડા ગામના કુલ 1500 એકર ખેતરની પસંદગી કરાઈ છે. જેમાં અટગામના 397, પીઠાના 156 અને કોચવાડાના 89 મળી કુલ 642 ખેડૂતોને લાભ થશે. યુરિયા ખાતરની 45 કિલોની એક ગુણ સરકારને રૂ. 3500માં પડતી હતી અને સરકાર ખેડૂતોને રૂ. 266માં આપતી હતી પરંતુ હવે ડ્રોન સિસ્ટમથી ખાતરનો બગાડ ન થાય તે માટે એક એકર દીઠ 500 એમ.એલ લિક્વિડ યુરિયાના રૂ. 240, રૂ. 500 ડ્રોનના અને રૂ. 100 ડ્રોન ઓપરેટરને ચૂકવવાના રહેશે. જેથી કુલ ખર્ચ રૂ. 840 થશે જેમાંથી રૂ. 500 સરકાર સબસિડી આપશે. 11 લીટર પાણીમાં 500 એમ.એલ લિક્વિડ યુરિયા મિશ્રિત કરવામાં આવે તો તે 45 કિલો યુરિયા ખાતરની એક થેલી બરાબર કહેવાશે. ડાંગરના પાકમાં પ્રથમ છંટકાવ 20 દિવસ બાદ કરાયો હોય તો બીજી વારનો છંટકાવ 15 દિવસ બાદ કરવાનો રહેશે. આમ કુલ 3 થી 4 વાર છંટકાવ કરવાનો રહેશે. પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જિલ્લાની વધુ 1068 એકર જમીન પર ખેતીના પાકમાં ડ્રોનથી યુરિયાનો છંટકાવ કરાશે. ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે I Khedut (આઈ-ખેડૂત) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પહેલા ખેડૂતે 1 એકર દીઠ રૂ. 840 પ્રમાણે તમામ રકમ ભરી દેવાની રહેશે, બાદમાં 1 એકર દીઠ રૂ. 500ની સહાય બેંક ખાતામાં જમા કરાશે. હાલ જિલ્લાને 1 ડ્રોન સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે, ખેડૂતોની માંગ મુજબ સરકાર વધુ ડ્રોન જિલ્લાને ફાળવશે.
ઈફ્કોના પ્રતિનિધિએ ડ્રોન અંગે ખેડૂતોને સમજ આપી ડેમોસ્ટ્રેશન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય કલ્પનાબેન પટેલ, જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એન.કે.ગાબાણી, મદદનીશ ખેતી નિયામક પ્રતિક પટેલ, વિસ્તરણ અધિકારી પ્રકાશ પટેલ અને ગ્રામસેવકશ્રીઓ હાજર રહ્યા હતા.
-000-

Related posts

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment