રામાયણ અને મહાભારત ટીવી સિરિયલના નિર્માતાના પ્રતિનિધિઓ સહિત કુલ 9ને એવોર્ડથી નવાજ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07
પૂ. મોરારીબાપુ દ્વારા દર વર્ષે રામચરિત માનસ શ્રીમદ ભાગવતજી તથા વાલ્મિકી રામાયણના વિદ્વાનો અને આ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર સંસ્થાઓની વિશિષ્ટ રીતે વંદના કરવા તુલસી એવોર્ડ, વ્યાસ અને વાલ્મિકી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં ધરમપુરના ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસને પણ આ “વ્યાસ એવોર્ડ”થી નવાજવામાં આવતા ધરમપુર અને આસપાસના પંથકમાં ખુશીની લાગણી ફરી વળી હતી.
એવોર્ડ સમારંભમાં પુ. મોરારીબાપુએ જણાવ્યું કે, આ ત્રિભુવન ગ્રંથનું જે વિદ્વાનો પોતાના મુખથી ગાયન કરી રહ્યાં છે તે બધાં જ મહંતજનોની ‘પાદુકા અભિષેક’ કરવાનું ખૂબ ગમે છે. આ એવોર્ડ ઉપક્રમ તે માત્ર એક કડીરૂપ માધ્યમ છે. પરંતુ વાસ્તવમાં આપ સૌની વંદના અંદરથી ઊર્જાના ભાવો પ્રગટ કરે છે. “શાયરી તો સિર્ફ બહાના હૈ અસલી મકસદ તો આપકો રીજાના હૈ” તલગાજરડા ઇચ્છે છે કે આ ભૂમિ પર આ ઉપક્રમ સતત પ્રજવલિત રહે.
પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસે એવોર્ડ મળ્યા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આ સન્માન દીર્ઘકાલીન ભાગવતજીની સેવા અને પૂજ્ય મોરારીબાપુની પ્રેમસભર લાગણીનુ પરિણામ છે. મારા આ એવોર્ડનો સંપૂર્ણ શ્રેય ભગવાન વેદ વ્યાસજીને જાય છે.
આ એવોર્ડ પ્રાપ્ત કરનાર મહાનુભાવને સૂત્રમાલા, પ્રશસ્તિપત્ર અને સવા લાખ રૂપિયાની ભાવરાશિથી ભાવવંદના કરવામાં આવે છે. આવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન કરનાર 9 મહાનુભાવોને પસંદ કરીને તેની વંદના મોરારીબાપુના સાનિધ્યમાં કૈલાશ ગુરુકુળ મહુવાના જગતગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ સભાગૃહમાં કરવામાં આવી. જ્યાં ધાર્મિક અને આધ્યાત્મિક જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ પ્રાપ્ત કરનારાં વિદ્વાનો
વાલ્મીકિ એવોર્ડઃ પૂ.જગદગુરુ શ્રી રાઘવાચાર્યજી મહારાજ (અયોધ્યા), શ્રી વિજયશંકર દેવશંકર દયાશંકર પંડ્યા (અમદાવાદ), રામાયણ સીરીયલના નિર્માતા સ્વ.રામાનંદ સાગરને અપાયેલો એવોર્ડ તેમના પુત્ર શ્રી પ્રેમસાગરે સ્વીકાર્યો.
વ્યાસ એવોર્ડઃ ભાગવતાચાર્ય પૂ. શરદભાઈ વ્યાસ (ધરમપુર), આચાર્ય ગોસ્વામી શ્રી મૃદુલ કૃષ્ણજી મહારાજ (વૃંદાવન)ના પ્રતિનિધિ ઉમાશંકરજીને તથા મહાભારત સીરીયલના નિર્માતા શ્રી બી. આર. ચોપરાનો એવોર્ડ તેના પ્રતિનિધિ સુશ્રી પ્રીતિબેન વખારીયાએ સ્વીકાર્યો.
તુલસી એવોર્ડઃ સુશ્રી રામબેન હરિયાણી (જયપુર), શ્રી મુરલીધરજી મહારાજ (ઓમકારેશ્વર) અને મહંત શ્રી રામ હૃદયદાસજી (ચિત્રકૂટ ધામ સતના મધ્યપ્રદેશ)ની ભાવવંદના થઈ હતી.