પાલિકા કારોબારી ચેરમેન, વોર્ડ સભ્યો અને આયોજકોએ કેસરી ઝંડી બતાવી યાત્રાનો શુભારંભ કરાવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપીના ડુંગરા કોલોની સ્થિત સમાજ સેવક અનુગ્રહ સિંધાણીયા દ્વારા આયોજીત કરાયેલ કાવડ યાત્રા ડુંગરા કોલોનીથી જળ ભરીને સેલવાસ બિન્દ્રાબિન જવા માટે આજે સોમવારે પ્રસ્થાન થઈહતી.
અત્યારે દેશ 75 વર્ષમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે 150 ઉપરાંત કાવડયાત્રીઓ હર હર મહાદેવ સાથે ભારત માતાનો જય જયકાર સાથે પ્રસ્થાન કરી રહ્યા હતા. ઉત્તર ભારતીય સમાજ માટે કાવડ યાત્રાનો મહિમા અપરંપાર હોય છે. કાવડ યાત્રાને પાલિકા કારોબારી ચેરમેન, મિતેશ દેસાઈ, વોર્ડ નગર સેવકોએ શુભેચ્છા આપી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. કાવડ યાત્રીઓ રાત્રી નિવાસ કરીને બીજા દિવસે સવારે બિન્દ્રાબીન તળાવમાંથી જળ ભરીને વાપી પરત આવવા રવાના થશે. વચ્ચે લવાછામાં બિરાજમાન રામેશ્વર મહાદેવને જળ અર્પણ કરશે. કાવડ યાત્રીઓ માટે કેસરી યુનિફોર્મ, ધજા, પતાકા સહિત મહિલા કાવડ યાત્રીઓ માટે વાહન સહિતની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તા.14 ઓગસ્ટના રોજ કાવડ યાત્રીઓ હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા બાઈક રેલી યોજનાર છે.