પ્રતિનિધિ મંડળે પાકિસ્તાની જેલમાં બંદીવાન પોતાના સ્વજનોની વર્ણવેલી વ્યથાઃ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ વિદેશમંત્રી સાથે મસલત કરી પ્રશ્નોના ઉકેલ માટે આપેલું આશ્વાસન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.08: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્વમાં આજે પાકિસ્તાની જેલમાં બંદીવાન બનેલા માછીમાર પરિવારોના સભ્યોએ આજે ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી તેમની સમસ્યાની જાણકારી આપી હતી.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્વમાં મળવા ગયેલા પ્રતિનિધિ મંડળમાં શ્રીમતી રાજીબેન છગન બામણિયા, શ્રીમતી અમૃતબેન જયંતિ બામણિયા, શ્રી છગન સોમા બામણિયા, શ્રીમતી જયાબેન મોહન, શ્રીમતી લખીબેન સોમા સોલંકી, શ્રીમતી રામીબેન પ્રેમજીભાઈ સોલંકી અને શ્રીમતી રમીલાબેન જીતુ બામણિયાનો સમાવેશ થતો હતો.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્વમાં મળેલા માછીમાર પરિવારના પ્રતિનિધિ મંડળે લાંબા સમયથી પાકિસ્તાની જેલમાં સબડી રહેલા તેમના સંબંધીઓના જાનમાલના સંદર્ભમાંચિંતા વ્યક્ત કરી હતી અને વહેલામાં વહેલી તકે પાકિસ્તાની જેલમાંથી મુક્ત થઈ ભારત આવે એવા પ્રયાસો કરવા અરજ કરી હતી.
મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ પ્રતિનિધિ મંડળને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, વિદેશમંત્રી જોડે પાકિસ્તાની જેલમાંથી માછીમારોને છોડાવવાની બાબતમાં મસલત ચાલી રહી છે.