(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 09: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શનિવારે 13મી ઓગસ્ટના રોજ ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત દમણ ખાતે ભારત દિવસ તરીકે મનાવવામાં આવશે. જમ્પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલના રૂપમાં દરેક સમુદાયના નેતાઓ, સાંસ્કૃતિક કલાકારો અને આમજનતા પોતપોતાના રાજ્ય અને સમુદાયની વેશભૂષા સાથે જમ્પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સ્વરૂપે પહોંચશે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્યોના લોકો વસવાટ કરે છે અને તેમના રીતિ-રિવાજોની ઉજવણી પણ કરે છે. ત્યારે સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શનિવારે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ઈન્ડિયા ડે’ની ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત લોકો દ્વારા પોતાના પ્રદેશના પારંપારિક સાંસ્કૃતિક નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરશે.