(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2030ને વૈશ્વિક લક્ષના પાંચ વર્ષ પહેલાં એટલે કે, વર્ષ 2025 સુધીમાં ટયુબર ક્યુલોસિસ(ટી.બી.) એટલે કે ક્ષય રોગના ઉન્મૂલન લક્ષને પ્રાપ્ત કરવા માટે કરેલા આહ્વાન મુજબ કેન્દ્રીય ટી.બી.(ક્ષય) વિભાગ અને આરોગ્ય મંત્રાલયે ક્ષયના રોગીઓને સામુદાયિક સહાયતા માટે એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેનું નામ પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન રાખવામાં આવેલ છે. જેને 9 સપ્ટેમ્બર, 2022ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત ટી.બી. એટલે કે ક્ષય રોગને સમાપ્ત કરવાના પ્રયાસને સમર્થન કરવા માટે ‘નિક્ષય મિત્ર’ અભિયાન સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવેલ છે. ‘નિક્ષય મિત્ર’ એવા સંભવિત દાતા છે જેઓ પોષણ સબંધી સહાયતા, નૈદાનિક સહાયતા, વ્યવસાયિક સહાયતા અને વધુ પોષણ પૂરક રૂપે સામાજીક સહાયતા પ્રદાન કરવા માટે ગામડાં/બ્લોક/જિલ્લાને ક્ષયના રોગીઓને દત્તક લેવા માટે ઈચ્છુક છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પણ આ દિશામાં કાર્યરત છે અનેવધુમાં વધુ ક્ષયના દર્દીઓને ‘નિક્ષય મિત્ર’ના માધ્યમથી વધુ પોષણ સંબંધી સહાયતા આપવા પ્રયાસરત છે. આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંધા ખાતે જીઈપીઆઇએલ ઈન્ડસ્ટ્રીઝને ‘નિક્ષય મિત્ર’ બનાવી રાંધાના દરેક ક્ષયના રોગીઓને પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાશન કીટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દરેક ક્ષય રોગીઓને દર મહિને એમના ઈલાજ દરમ્યાન આપવામાં આવશે. આ અવસરે રાંધા પંચાયતના સરપંચ શ્રીમતી ઉમાબેન દિપકભાઈ રડિયા, શ્રી ઝીણા કળષ્ણા ચૌધરી, પંચાયતના સભ્યો, કંપનીના પ્લાન્ટ હેડ શ્રી શૈલેન્દ્ર તિવારી, શ્રી પ્રશાંત રાઠોડ અને તેમના સહયોગી અને આરોગ્ય વિભાગના ડો. મનોજસિંહ, ક્ષય અને કુષ્ઠ રોગ કાર્યક્રમ અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંધાના મેડીકલ ઓફિસર ડો. મનિષ રાજગર વગેરે ઉપસ્ગિત રહ્યા હતા.