ભીષણ આગ જનરેટર કોચમાં લાગી હતી : ચાર કોચ આગની લપેટમાં આવ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: વલસાડ સ્ટેશન નજીક મોગરાવાડી અંડરપાસ પાસે વલસાડથી સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફિલ્મ બર્નિંગ ટ્રેન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આગ એટલી ભિષણ હતી કે ચાર કોચ આગની જ્વાળાઓમાં લપેટમાં આવી ગયા હતા.
વલસાડ જિલ્લામાં ટ્રેનમાં આગ લાગ્યાનો આ પ્રથમ બનાવ બન્યો હતો. હમસફર ટ્રેન વલસાડથી સુરત જવા રવાના થઈ કે તુરંત જ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેનના જનરેટર કોચમાં સ્પાર્કિંગથી શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જો કે સદનસીબે તમામ કોચમાંથી યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ચાર થી છ કલાક ફાયર ટીમની જહેમત બાદ આગ કાબુ કરી લેવાઈ હતી. આગની દુર્ઘટના બાદ રેલવે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગઈકાલે રેલવેની એફ.એસ.એલ. ટીમ વલસાડ આવી પહોંચી હતી અને તમામ નમુના એકત્ર કરી ટેકનિકલ તપાસ આરંભી હતી. સંપૂર્ણ તપાસ બાદ આગના સાચા તથ્યો બહાર આવશે.