-
દીપેશભાઈ ટંડેલે ડેલકર પરિવારનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, પહેલાંના નેતાઓ પાસે દાદરા નગર હવેલીના આદિવાસી સમાજને આગળ વધારવા માટે જરૂરી રાજનૈતિક ઈચ્છાશક્તિ નહીં હતી. એટલે જ તેમણે ક્યારેય પણ આદિવાસી સમાજને શિક્ષણ સાથે નથી જોડયા. તેઓ ફક્ત દેખાડા માટે આદિવાસીઓનો ઉપયોગ કરતા હતા
-
દાનહ ખાનવેલ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની કરવામાં આવેલી ઉજવણીઃ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોની રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 09: દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં ખાનવેલ જિલ્લામાં ચાર રસ્તા ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દાદરા નગર હવેલીના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રભારી અને રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્યા રહાટકરના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં આયોજીત આ કાર્યક્રમમાં દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી દીપકભાઈ જાદવ, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, યુવા મોર્ચાના અધ્યક્ષશ્રી વિશાલભાઈ પટેલ, યુવા મોર્ચાના પ્રદેશ પ્રભારી શ્રી વરૂણભાઈ ઝવેરી, પ્રદેશ મહામંત્રી શ્રી મહેશભાઈ ગાવિત, સેલવાસ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અજયભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ માઢા, એસ.ટી.મોર્ચા અધ્યક્ષ શ્રી રમેશભાઈ કડુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, આદિવાસીઓની સમસ્યાના નિરાકરણ અને તેમની ભાષા સંસ્કૃતિ અને ઈતિહાસના સંરક્ષણ માટે મોદી સરકાર કટિબધ્ધ છે. જનજાતિ સમુદાયને તેમનો હક્ક અને સન્માન અપાવવા તેમની સંસ્કૃતિને આગળ વધારવા સરકાર કૃતનિヘયી છે. વિશ્વમાં ભારતની સંસ્કૃતિને મજબુત કરવામાં જનજાતિ સમાજનું મોટું યોગદાન રહ્યું છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે વધુમાં ડેલકર પરિવારનું નામ લીધા વગર ભારપૂર્વક જણાવ્યું હતું કે, પહેલાંના નેતાઓ પાસે દાદરા નગર હવેલીના આદિવાસી સમાજને આગળ વધારવા માટે જરૂરી રાજનૈતિક ઈચ્છાશક્તિ નહીં હતી. એટલે જ તેમણે ક્યારેય પણ આદિવાસી સમાજને શિક્ષણ સાથે નથી જોડયા. તેઓ ફક્ત દેખાડા માટે આદિવાસીઓનો ઉપયોગ કરતા હતા. શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે કેન્દ્રની ભાજપ સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રદેશના આદિવાસીઓના વિકાસ માટે સમર્પિત છે. કેન્દ્ર સરકારેપ્રદેશના આદિવાસી બાળકોના શિક્ષણ ઉપર જોર આપી અહીં એકલવ્ય મોડેલ સ્કૂલની સ્થાપના કરી છે. તેના નવા ભવનનું કામ પણ ચાલુ છે. જનજાતિ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના શિક્ષણ માટે દરેક વિભાગો દ્વારા સુવિધા મળે તે માટે સરકાર અને પ્રશાસન પ્રયાસરત હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં શરૂ થયેલી મેડિકલ કોલેજના કારણે આપણાં આદિવાસી બાળકોનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થયું છે.