ધરમપુર રોડ મણીબાગ સોસાયટી સામે ઘટેલી ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વલસાડ વિસ્તારમાં ગૌવંશો ઉપર કારો ફેરવી કચડી મારવાની ઘટના ગતરોજ માલવણ નજીક ઘટી હતી. ત્યાં વધુ એવી ઘટના ધરમપુર રોડ મણીબાગ સોસાયટી સામે ઘટી હતી. બેફામ કાર ચલાવી રહેલ કોઈ ઈસમ રોડ ઉપર બેઠેલ ત્રણ ચાર ગૌવંશને કાર ભટકાવી ફરાર થઈ જતા આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘાયલ ગૌવંશને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
વલસાડ ધરમપુર રોડ ઉપર મણીબાગ સોસાયટી સામે કોઈ અજાણ્યા ઈનોવા કાર ચાલક રસ્તા ઉપર બેઠેલા ત્રણ-ચાર ગૌવંશ ઉપર બેફીકરાઈથી કારને ભટકાવી નાસી ગયો હતો. ઘટનાની જાણ લોકોએ અગ્નિવીર ગૌસેનાને કરતા કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વેટનરી વાન બોલાવીને ઘાયલ ગૌવંશને દવાખાને સારવાર માટે ખસેડાયેલ. શહેરમાં માલવણની 11 ગૌવંશ મોત અને 8 ઘાયલ થયાની સમાંતર જ એવી જ ઘટના ઘટતા લોકોમાં બેફામ વાહન ચલાવતા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.