ખેડૂતો અને એ.પી.એમ.સી.ના સંચાલકોને પાકના રક્ષણ માટે પગલા લેવા તાકીદ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૨૦/૦૩/૨૦૨૩ થી તા.૨૩/૦૩/૨૦૨૩ દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવી, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ખેતીવાડી વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી કૃષિ સંશોધન કેન્દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.