(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને ડી.આઈ.જી.પી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્બેરેની સૂચનાથી પ્રદેશના લોકોને કનડતી કેટલીક કાયદાકીય સમસ્યાઓના નિકાલ માટે દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા સેલવાસ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દાનહના એસ.પી. શ્રી આર.પી.મીણાના માર્ગદર્શનમાં અને એસ.એચ.ઓ.શ્રી અનિલ ટી.કે.ની અધ્યક્ષતામાં જન સુનાવણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રવિવારે સેલવાસ પોલીસ હેડક્વાર્ટર ખાતે એસ.એચ.ઓ.શ્રી અનિલ ટી.કે.ની અધ્યક્ષતામાં આયોજીત જન સુનાવણી શિબિરમાં જરૂરિયાતમંદ લોકોની વિવિધ ફરિયાદોની એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી. જેમાં લીગલ એક્શન ફરિયાદોનું શાંતિપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું હતું. પેન્ડિંગ ઈન્ક્વાયરી અંગેની પણ નોંધણી કરવામાં આવી હતી. આ જન સુનાવણીમા 130 જેટલી વિવિધ ફરિયાદો આવી હતી. જેમાંથી 16 એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી અને 35 અરજીઓમાં લીગલ એક્શન લેવામાં આવી હતી. જ્યારે 61 જેટલી ફરિયાદો બંધ કરવામાં આવી હતી અને 18 અરજીઓ પેન્ડિંગ રહી હતી.
આ અવસરે એસ.પી. શ્રી આર.પી.મીણા, સેલવાસ એસ.એચ.ઓ.શ્રી અનિલ ટી.કે. સહિત દરેક પોલીસ સ્ટેશનના પ્રભારીઓ, પોલીસ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ફરિયાદી લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં સક્રિય રૂપે જાહેર જનતાએ ભાગ લીધો હતો અને કાર્યક્રમના સંચાલન માટે પોલીસ વિભાગનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.