વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના બની રહે એ માટે કરવામાં આવેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12
દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના સંદર્ભમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે દાદરા નગર હવેલીના દાદરા ગામે ગવર્નમેન્ટ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જળવાઈ રહે એના માટે દેશભક્તિ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબીશન કાર્યક્રમનું ઉદ્ઘાટન દાદરાના ઉપ સરપંચ શ્રી કમલેશ દેસાઈના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબીશનમાં 75 વર્ષ પહેલાં આપણો દેશ આઝાદ થયો હતો ત્યારની હિસ્ટ્રી સાથે ફોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને ભારતના ઈતિહાસની જાણ થાય એ હેતુથી આ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને દેશની આઝાદીના ઈતિહાસ બાબતની જાણકારી મેળવી હતી. આ સાથે તંબાકુ મુક્ત પ્રદેશ બને એના માટે પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. પ્રશાસનનોપ્રયાસ બાળકોને દેશની આઝાદીનો સંઘર્ષ અને દેશની પ્રગતિથી માહિતગાર કરવાનો છે. કારણ કે આગળ જતાં આ બાળકો ઉપર જ દેશના ભાવિને સાચવવાની જવાબદારી આવવાની છે. આ અવસરે દાદરાના ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય ડી.ડી.મન્સૂરી, શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——————-