(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 03
આજે કોમ્યુનિટી હોલ, ઢાંકલીની વાડી, વોર્ડ નં.7, નાની દમણ ખાતે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં દમણ સહિત આસપાસના વિસ્તારના લોકોએ ઉત્સાહભેર આ યોજનાનો લાભ લીધો હતો. કેમ્પમાં આયુષ્માન ભારત યોજના નવા કાર્ડ અને જેના અગાઉ બની ગયેલા હતા તેના રીન્યુ કરાવતા, લોકોમાં આરોગ્ય માટે જાગૃતિ જોવા મળી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપપ્રમુખ અને દમણ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી અસ્પી દમણીયા, ભાજપ જિલ્લા મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, ઉપપ્રમુખ શ્રી બળવંત યાદવ, ભાજપ દમણ જીલ્લા મંત્રી શ્રી કિરીટ દમણીયા, શિવકુમાર, ભાજપ અગ્રણીઓ, કાર્યકર શ્રી અખિલેશ મિશ્રા, વોર્ડ નંબર 7ના આગેવાન મંજુબેન, છોટુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ દમણવાસીઓને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન કલ્યાણકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. કારણ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દમણ પ્રશાસનના સહયોગથી માત્ર રૂા. 3091માં આ યોજનાનો લાભ મળે છે. જેનો લાભ દરેક મધ્યમ વર્ગના લોકોએ લેવો જોઈએ. કારણ કે જ્યારે પણ સ્વાસ્થય બગડે છે અથવા મોટી બિમારી હોય કે ઓપરેશન કે ઈલાજ કરાવવાનું હોય ત્યારે આવી પરિસ્થિતિમાં પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયે પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન કાર્ડ આશીર્વાદરૂપ બને છે. તેથી આ પ્રકારના પરિવારોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ. આ પ્રસંગે દમણ ભાજપ જિલ્લા પ્રમુખે આ શિબિરમાં સહયોગ બદલ પ્રશાસનનો આભાર માન્યો હતો.