વર્ષ 1945 પછી જે પણ દેશ આઝાદ થયા તેમાં ભારત સૌથી વધુ વિકાસશીલ દેશ હોવાનું ગૌરવઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
-
વાપી પાલિકાના ̎જઝબા તિંરગે કા ̎ કાર્યક્રમમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાપી પંથક ગુંજી ઉઠ્યો
-
25 જેટલી વિવિધ સંસ્થા, સ્કૂલ-કોલેજોએ કાઢેલી ફેલગ માર્ચની નાણામંત્રીશ્રીએ સલામી ઝીલી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: આઝાદીના અમૃત મહોત્સવને દેશવાસીઓ ઉત્સવ તરીકે મનાવી રહ્યા હોય એમ ઠેર ઠેર દેશ ભક્તિના દર્શન થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું. જેને વાપી પાલિકાએ સહર્ષ વધાવી લઈ વલસાડ જિલ્લામાં સૌથી ઉંચો 100 ફૂટનો ઉંચો તિંરગો રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ̎̎̎વાપી પાલિકાના ̎જઝબા તિંરગે કા ̎ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજ, સામાજિક સંગઠનો અને પોલીસ દ્વારા ફલેગ માર્ચ કરી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સતત ગુંજતા રહેતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.
દેશની આન,બાન અને શાન સમા તિંરગાનું મહત્વ સમજાવતા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આઝાદીના સમયે 1947માં જે માહોલ હતો તેના જેવો ભવ્ય માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે, તિંરગાની શાન શું છે તે આપણને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ હર ઘર તિરંગા અભિયાન હેઠળ બતાવ્યું છે. યુક્રેન-રશિયાના યુધ્ધ સમયે જીવ બચાવવા માટે પાકિસ્તાનીઓએ પણ આપણા તિરંગાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આપણો તિરંગો એ આપણી તાકાત અને ગૌરવ છે. હર ઘર તિંરગા અભિયાન થકી આઝાદીનું મહત્વ શું છે અને આઝાદીનો અમૃત મહોત્સવ શું તે આપણે સમજી શકયા છે. વર્ષ 1945 પછી જે પણ દેશ આઝાદ થયા તેમાં ભારત સૌથી વધુ વિકાસશીલ દેશ છે, અર્થતંત્રની દ્રષ્ટિએ પણ ભારત અગ્રેસર છે. કોરોનામાં પણ પ્રધાનમંત્રીશ્રીએ થાળી અને ઘંટ વગાડીને દેશને મહામારી સામે એક કર્યો હતો. આપણે સ્વતંત્ર રહેવું હોય તો તે માટે આત્મનિર્ભર બનવું જોઈએ, જેનું સૌથી મોટુ ઉદાહરણ આપણને કોરોના સમયે જોવા મળ્યું, પ્રધાનમંત્રીશ્રીએ દેશના વૈજ્ઞાનિકોને પ્રાત્સાહિત કર્યા જેના ફળ સ્વરૂપે સ્વદેશી વેક્સિન બનાવવામાં સફળતા મળી અને લોકોને ફ્રીમાં મુકીને કોરોનાને હરાવી શકયા. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણે આઝાદીના 100 વર્ષ પુરા કરીશુ ત્યારે ભારત કેવુ હશે તેનો વિચાર, તેની કલ્પના પ્રધાનમંત્રીશ્રીએ આપી છે ત્યારે તેમની વિકાસની નીતિમાં આપણે પોતાનું યોગદાન આપી સહયોગ આપી શકીએ છીએ. 1947માં આઝાદી મળી ત્યારે આપણે ન હતા પરંતુ આજે આ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છે. આજે લહેરાવેલો આ 100 ફૂટનો તિંરગો ભારતની આઝાદી સુધી શાશ્વત રહેશે.
વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના હર ઘર તિરંગા અભિયાનને તમામ લોકોએ વધાવી લઈ જઝબા તિરંગા કા કાર્યક્રમ હેઠળ આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કરી ટોકન ઓફ લવના ભાગરૂપે વડાપ્રધાનશ્રીને ભેટ આપી છે. વાપીના વિકાસની ગાથા રજૂ કરતો અને આકાશમાં લહેરાતો આ તિંરગો સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.
ધ્વજારોહણ પૂર્વે સૈફી સ્કાઉટ બેન્ડ, વાપી સોશિયલ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ, ફેલોશીપ મિશન સ્કૂલ, વાપી કેમિસ્ટ એન્ડ ડ્રગ્સીસ્ટ એસોસિએશન, અનાવિલ સન્નારી ગૃપ, જૈન સમાજ, ગુરુકૂળ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, કેબીએસ કોર્મસ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપી, રોફેલ કોલેજ, શ્રી વિદ્યા નિકેતન, આગાખાન સ્કાઉટ એન્ડ ગાઈડ બેન્ડ ગૃપ, વાપી, લાયન્સ ઈન્ટરનેશન અને જ્ઞાન સાગર સહિત કુલ 25 સંસ્થાઓ દ્વારા દેશભકિતના ગીતોના સુર સાથે ફલેગ માર્ચ કાઢવામાં આવી હતી. નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આ તમામ સંસ્થાઓએ કાઢેલી ફલેગ માર્ચની સલામી ઝીલી હતી. વાપી પાલિકા દ્વારા મંત્રીશ્રીને ખાદીના રૂમાલ અને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સંસદ સભ્ય ડો. કે.સી.પટેલ, વાપી પાલિકાના ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ, પાલિકાના માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા, ડીવાયએસપી એચ ક્યુ મનોજ શર્મા,એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી. પટેલ, એસઓજી પીઆઈ વી.બી.બારડ, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વાપી સંગઠન પ્રમુખ સતિષ પટેલ, વાપી નોટીફાઈડ સંગઠનના હેમંત પટેલ, વીઆઈએ પ્રમુખ કમલેશભાઈ પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિવાંગ ઓઝાએ કર્યું હતું.