પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે થઈ રહેલા પ્રયાસ અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપેલી 50 ટકા ભાગીદારી તથા પ્રશાસનના વિવિધ મહિલાલક્ષી અભિગમની પ્રશંસા કરતા પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ સિમ્પલબેન કાટેલા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચા દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની 40 મહિલાઓને તેમના વિવિધ ક્ષેત્રોના યોગદાન બદલ સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નેહરૂ યુવા કેન્દ્ર, દમણના રાષ્ટ્રીય યુવા સ્વયં સેવક સુશ્રી સ્નેહા જરીવાલાનો પણ સમાવેશ થતો હતો.
સુશ્રી સ્નેહા શરદકુમાર જરીવાલાનેસ્પોર્ટ્સ ફિલ્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સામાજિક કાર્ય માટે એવોર્ડ આપી પુરસ્કૃત કરાયા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલાની પહેલથી આયોજીત સુષ્મા સ્વરાજ એવોર્ડ પ્રદેશની શિક્ષણ, ખેલકૂદ, આરોગ્ય, સામાજિક સેવા, કૃષિ, ગૃહઉદ્યોગ, ઓર્ગેનિક કલરની બનાવટ જેવી પ્રવૃત્તિમાં સામેલ 40 મહિલાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
પ્રારંભમાં પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે થઈ રહેલા પ્રયાસ અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપેલી 50 ટકા ભાગીદારીનો ઉલ્લેખ કરી પ્રશાસનના વિવિધ મહિલાલક્ષી અભિગમની પ્રશંસા કરી હતી.
શ્રીમતી જાગૃતિબેન દેસાઈએ દરેક મહિલાઓને સ્વ. સુષ્મા સ્વરાજના જીવન અને કવન ઉપર પ્રકાશ પાથરી તેમણે કરેલી લોકસેવાની જાણકારી આપી હતી. આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર અને કાઉન્સિલર શ્રીમતી રજની શેટ્ટીએ પણ પોતાનું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. આભાર વિધિ મહિલા મોર્ચાના પ્રદેશ મહામંત્રી અને કાર્યક્રમના પ્રદેશ પ્રભારી શ્રીમતી પુષ્પાબેન પટેલે આટોપી હતી.
આ કાર્યક્રમમાં સેલવાસ જિલ્લા મહિલા મોર્ચાનાઅધ્યક્ષ શ્રીમતી સુનંદાબેન, જિલ્લા પંચાયતના મસાટ વિભાગના સભ્ય શ્રીમતી રેખાબેન પટેલ, શ્રીમતી કવિતા સિંહ, શ્રીમતી મંજુબેન પટેલ તથા મહિલા મોર્ચાના પદાધિકારી અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.