(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
75મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ 15-08-2022 સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા મોંઘાભાઈ હોલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ કલેક્ટર શ્રીમતિ ક્ષિપ્રા આગ્રે અને વલસાડ ડિ.એસ.પી. શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા પધાર્યા હતા. આ કેમ્પમાં વલસાડ રક્તદાન કેન્દ્ર, પારડી બ્લડ બેન્ક અને હરિયા બ્લડ બેન્કના સહયોગથી રેકોર્ડ 1201 યુનિટ બ્લડ એકત્ર થઈ હતી.
આ વર્ષે શિબિરામં હર ઘર તિરંગાના ડેકોરેશન સાથે અયોધ્યા રામ મંદિરની થીમ રાખવામાં આવી હતી. જેમાં રક્તદાતાનો શ્રીરામ ભગવાનની પ્રતિમા સાથે ફોટો અને 360 ડિગ્રી રોટેટીંગ વિડીયો પાડી સૌને પર્સનલી મોકલવામાં આવ્યો હતો. દરેક રક્તદાતાઓને શ્રીરામ નામનો ખેસ પહેરાવી અને મહાનુભવોનું સ્વાગત ‘રામાયણ’ ભેટ સ્વરૂપે આપી સમગ્ર હોલમાં ભક્તિમય વાતાવરણ ઉભું થયું હતું. તદુપરાંત રક્તદાતાઓને કોરોના તથા અન્ય વાઈરસથી બચવા ફલેમિંગો બ્રાન્ડના માસ્ક-સેનિટાઈઝર તથા પર્યાવરણની જાળવણી માટે છોડ અને પ્લાસ્ટિક બંધ અભિયાન અંતર્ગત શોપિંગ બેગ આપવામાં આવી હતી. કેમ્પમાં માનસીફાઉન્ડેશનના સહયોગથી ફ્રી ઓર્થો કેમ્પ રાખવામાં આવેલ, જેમાં 273 દર્દીઓને મેડીકલ પ્રોડક્ટ ફ્રીમાં આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કેમ્પમાં વલસાડ કલેક્ટરશ્રી દ્વારા પ્લાસ્ટિક મુક્ત વલસાડ માટે ઉમિયા શોપિંગ બેગનું લોચિંગ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સીટી પોલીસ સ્ટેશન પી.આઈ. દીપકભાઈ ઢોલના ર્માદર્શન હેઠળ વલસાડ જિલ્લાના પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં રક્તદાન માટે જોડાયા હતા. પત્રકાર તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના સહકારથી માનવ સેવાના આ કાર્યમાં વધુમાં વધુ રક્તદાતાઓ જોડાઈ ઐતિહાસિક રક્તદાન ઉત્સવ ઉજવ્યો એ બદલ ઉમિયા ગ્રુપના કેપ્ટન અશોક પટેલે સર્વેનો આભાર માન્યો હતો.