(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 18: દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જે અંતર્ગત વલસાડના મગોદ ગામે આવેલા શાંતિમંદિર ખાતે કાર્યરત શારદાપ્રભા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રીમુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રો દ્વારા 15મી ઓગસ્ટે વિવિધ કાર્યક્રમનું આયોજન મહામંડલેશ્વર સ્વામી નિત્યાનંદ સરસ્વતી મહારાજની નિશ્રામાં કરાયું હતું. જેમાં શારદાપ્રભા ઈંગ્લિશ મીડિયમના નાના ભૂલકાંઓએ સંસ્કૃતની સાથે અંગ્રેજીમાં કંઠસ્થ ગીત,વંદેમાતરમ્ અને દેશભક્તિના ગીત રજૂ કર્યા હતા. જ્યારે શ્રીમુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રોએ વૈદિક મંગલાચરણ,વૈદિક રાષ્ટ્રગાનનો ભાવાર્થ, હિન્દીમાં કવિતા,સંસ્કૃતમાં સામૂહિક ગીત અને આચાર્ય દ્વારા વક્તવ્ય રજૂ કરાયા હતા. આ ખાસ પ્રસંગે સ્વતંત્રતા પૂર્વે દેશમાં શું માહોલ હતો,લોકોમાં દેશ પ્રત્યે શું ભાવના હતી,દેશપ્રેમ કઈ ચરમસીમાએ હતો,તેની વિગતે માહિતી ઉપસ્થિત 92 વર્ષીય બિશન સહાય સક્સેનાજીએ ધ્વજવંદન કરી સ્કૂલના બાળકો અને મહાવિદ્યાલયના છાત્રો તેમજ તેમના વાલીઓને આપી હતી. આ પ્રસંગે નાના ભૂલકાંઓ સાથે શૈક્ષણિક સ્ટાફ પણ પરંપરાગત સફેદ વસ્ત્રોમાં સજ્જ હોવાથી સમગ્ર માહોલમાં દેશપ્રેમ ઉભરતો જોવા મળ્યો હતો. સ્વામીજીએ પણ આ ખાસ પ્રસંગે આઝાદીને લગતા પોતાના વિચારો અને સ્વતંત્રતાનું મૂલ્ય સમજીને આપણે આજે શું કરવાનું છે,તે અંગે માહિતી આપી સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
-૦૦૦-