વરસતા વરસાદમાં શહેરના માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 18: વડાપ્રધાનશ્રીના હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત વલસાડની જેસીઆઈ સંસ્થા દ્વારા સ્વતંત્ર્ય પર્વના આગલા દિવસે રાત્રે નવો ઈતિહાસ લખાયો હતો. આઝાદીના આગલા દિવસે જે માહોલ હતો તેવો આબેહુબ માહોલ તા. 14મી ઓગસ્ટે રાત્રે જોવા મળ્યો હતો. વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર મશાલ રેલીમાં જોડાયા હતા. શહેરના માર્ગો ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.
1947માં 14 મી ઓગસ્ટના રોજ જે રીતે આઝાદીનો ઉત્સવ ઉજવાયો હતો તેની સ્મૃતિના રૂપે વલસાડ જેસીઆઈ દ્વારા 14 ઓગસ્ટે આઝાદ ચોક ખાતે રાત્રે 8-30 કલાકે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકો તેમજ વિવિધ સંસ્થા દ્વારા દેશભક્તિની થીમ ઉપર સંગીતના તાલે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રાત્રે 10 કલાકે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પર મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અંદાજે 3000 લોકો સ્વયંભૂ ઉમટ્યા હતા. યુવાનોને આઝાદીનું મહત્વ અને દેશ પ્રત્યેની ફરજો સમજાવવાનો એક વિનમ્ર પ્રયાસ પણ જેસીઆઈ દ્વારા કરાયો હતો. આ ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પ્રોહીબિશન એન્ડ એક્સાઇઝ વિભાગ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, અનાવિલ સમાજ વલસાડ, અખિલ હિન્દ મહિલા પરિષદ, શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા સહિતની સંસ્થા અને તેમના સભ્યો પણ ઉત્સાહ સાથે જોડાયા હતા.
જેસીઆઇ વલસાડના પ્રેસિડેન્ટ જેસી સંદીપ ઠાકોરે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સોનલબેન સોલંકી, નગરપાલિકાના પ્રમુખ કિન્નરી પટેલ, સિટી પી.આઈ દીપકભાઈ ઢોલ અને વલસાડના નગરજનોનું સ્વાગત કર્યું હતું. જેસી હિતેન દેસાઈએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. જેસી વિભા દેસાઈએ ભારતમાતાનો વેશ ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર જેસી ડૉ. શ્રીકાંત કનોજીયા, જેસી જિજ્ઞેશ પટેલ, જેસી રાહુલ મિસ્ત્રી તથા દરેક સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળ બન્યો હતો.