(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: જન્માષ્ટમીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીમાં મંદિરો અને સોસાયટીઓમાં નંદોત્સવની ઝાંકી સજાવવામાં આવી હતી. જેમાં સેલવાસના ગાયત્રી મંદિર, તિરુપતિ બાલાજી, લવાછા રામેશ્વર મહાદેવ મંદિર, દાદરા રામ મંદિરમાં શુક્રવારે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જન્મોત્સવ બાદ દિવસ દરમિયાન મંદિરોમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જન્મોત્સવને કારણે મંદિરોમાં અને સોસાયટીઓમાં ‘જય ગોવિંદ જય, જય ગોપાલ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ જેવા ઉચ્ચારણથી વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.
આમલી તિરુપતિ બાલાજી મંદિરમાં કૃષ્ણ ભગવાનનું બાલ સ્વરૂપ પારણુ બનાવવામાં આવ્યું હતું અહીં ભક્તો માખણ અને મિશરીનો પ્રસાદ ચડાવી કૃષ્ણ ભગવાનના દર્શનનો લ્હાવો માણ્યો હતો. બધા મંદિરો અને સોસાયટીઓમાં રાત્રે 12 વાગ્યે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જન્માષ્ટમી બાદ ભગવાનની ઝાંકી શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં 105 વર્ષથી સપ્તાહનું આયોજન કરાય છે જેની પૂર્ણાહુતી બાદ કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
કિલવણી નાકા પર વેપારી એસોસિએશન દ્વારા મટકી હંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સેલવાસ પાલિકા ઉપપ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.