દીવના કલેક્ટરાલયના સભાખંડમાં પ્રદેશના નાણાં અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં અપાયેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.14 : ‘આયુષ્માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાનારા ‘આયુષ્માન પખવાડા’માં સામેલ કરાનારા વિવિધ કાર્યક્રમો માટે આજે સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતની અધ્યક્ષતામાં દીવ કલેક્ટરાલયનાસભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફોરમેન બ્રહ્મા, દીવના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વિવેક કુમાર, દીવ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન સોલંકી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રામજીભાઈ બામણિયા, તથા કાઉન્સિલરો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, દીવ ટ્રેડ યુનિયન, હોટલ એસોસિએશન તથા સેવા સંગઠનોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમની તૈયાર કરવામાં આવેલ વિશેષ રૂપરેખાની જાણકારી આપવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ પેટા આરોગ્ય કેન્દ્રો-આયુષ્માન ભારત ખાતે આરોગ્ય મેળાનું આયોજન, વિવિધ સંગઠનોના સહયોગથી રક્તદાન શિબિર, 30 વર્ષથી વધુના ઉંમરના નાગરિકો માટે બી.પી., ડાયાબિટિશ જેવી બિમારીની તપાસ, પ્રધાનમંત્રી જન આરોગ્ય, ડિજિટલ સ્વાસ્થ્ય મિશન વગેરેની બાબતમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે નાણાં અને પંચાયતીરાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે ઉપસ્થિત જન પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, તેઓ દીવ જિલ્લામાં ટી.બી.ના રોગથી પીડિત તમામ દર્દીઓને પોષણ કિટ પ્રદાન કરી એક ટી.બી.મિત્રના રૂપમાં તેમની મદદ કરે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અનુભવી માર્ગદર્શન અને તેમના નિર્દેશમુજબ દીવ જિલ્લાને સંપૂર્ણ રીતે કુપોષણમુક્ત બનાવવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ વોર્ડમાં રહેતાં કુપોષિત બાળકોની યાદી બનાવવા પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દરેક ચૂંટાયેલા સભ્યો અને સેવા સંગઠનના સભ્યો પોતાના વિસ્તારના બાળકોને દત્તક લઈ તેમના ખાનપાનની જવાબદારી સંભાળે. આવા સકારાત્મક પ્રયાસથી દીવ જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે આ બેઠકમાં ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.