(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસથી ખાનવેલ તરફ જતો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણીમાં દાનહ પ્રદેશના રસ્તાઓ સારા અને સુંદર હતા. પરંતુ આ વર્ષે ખુબ જ બિસ્માર ચંદ્રની ધરતી જેવા બની જવા પામ્યા છે. મોટા પ્રમાણમાં રસ્તાઓ ખરાબ બની જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. અનેક જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. દાદરા ચેકપોસ્ટથી ખાનવેલ સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર થયેલ હોવા છતાં ખૂબજ જર્જરિત થઈ ગયો છે. આ રોડ સેન્ટર હોવાને કારણે 70 થી 80 ટકા લોકો એનો ઉપયોગ કરે છે. બહારથી આવતા મોટાભાગના પર્યટકો પણ આજ માર્ગે આવતા હોય છે.
ચોમાસા અગાઉ રસ્તાઓની હાલતને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સૂની તૈયારીરૂપે પણ રસ્તાઓ રીપેરીંગ માટેની કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન પણ વેટમીક્ષ નાંખી રોલર ફેરવી આસાનીથી વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈતી હતી પરંતુ એના ઉપર કોઈ જ ધ્યાન આપવામાં ન આવતા રોજબરોજ નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ ઉપર થઈ રહ્યા છે.
દાદરા નગર હવેલીસીધો કેન્દ્ર સરકારને આધીન પ્રદેશ હોવાને કારણે ફંડની કમી હોય તેવુ લાગતું નથી. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને જે રસ્તાઓ અતિશય બિસ્માર બન્યાં છે તેને વહેલામાં વહેલી તકે રિપેરીંગ કરવામાં આવે, જેથી લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને રાહત મળી શકે. મુખ્ય રસ્તાઓની સમસ્યા અંગે જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ, સમાજના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર અને પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ પ્રશાસન દ્વારા આ રસ્તાઓની સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને રોજબરોજ વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સને એમના દર્દીઓને પણ ગામડાઓમાંથી સેલવાસ લાવતી વખતે ઘણો લાંબો સમય નીકળી જાય છે જેને કારણે દર્દીઓને સારવાર મેળવવામાં તકલીફ પડી રહી છે.