સામાજીક કાર્યકર રોહિત સોમપુરાએ સોશિયલ મીડિયા દ્વારા રખડતા ઢોરો માટે ગંભીરતા સાથે ઉઠાવેલો મુદ્દો
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોર એક વિકરાળ સમસ્યા બની ચૂકેલ છે. છાશવારે રખડતા ઢોરોના હુમલા, રસ્તા રોડ ઉપર અડીંગા જેવી ઘટનાઓ બની રહી છે. જેના અનેક દુષ્પરિણામો પણ સામે રોજીંદા આવી રહ્યા છે. ત્યારે વાપીમાં રખડતા ઢોરોને અંકુશ કરવા માટે આધાર કાર્ડ બનાવો ની જરૂરી માંગ ઉઠી છે.
રખડતા ઢોરોની સમસ્યા જગ જાહેર છે. એક અંદાજ મુજબ ગુજરાતભરમાં 4 લાખ ઉપરાંત ઢોર રોડ-રસ્તા ઉપર રઝળી રહ્યા છે. જેને લઈ ટ્રાફિક સમસ્યા ડગલે-પગલે ઉભી થતી હોય છે. જાનવરો ક્યારેક તો વાહનોની ચાલવાનો રસ્તો પણ આપતા નથી ત્યાં સુધી તો સિમિત છે પણ ક્યારેક તો નાગરિકો ઉપર જીવલેણ હુમલા પણ આખલા કે ગાયો કરતી રહે છે. તાજેતરમાં જેતપુરના મેળામાં તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના કાર્યક્રમમાં પણ આખલાએ આતંક મચાવી નિતીન પટેલને રીતસર ગબડાવી દીધા હતા. આવી રોજીંદી ઘટનાઓ ઘટી રહી છે. ઢોરના હુમલાની ઘટનાઓ વલસાડમાં પણ ઘટી ચૂકી છે ત્યારે વાપીના સામાજીક કાર્યકર અગ્રણી એવા રોહિત સોમપુરાએ આ મુદ્દાની ગંભીરતાને લક્ષમાં લઈને જાનવરોના આધાર કાર્ડ બનાવવાની માંગ કરી છે. જાનવરોના કાન ઉપર આધાર ટેગ લગાવાય તો તેના માલિકની ઓળખ થઈ શકે. માલિક વિરૂધ્ધ આઈ.પી.સી. 304નોગુનો પણ દાખલ કરી શકાય. ઢોરોની સમસ્યા અંકુશિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે કડક કાયદો બનાવવો જોઈએ તેવી માંગ વાપીથી ઉઠી છે. 140 કરોડના ઓળખકાર્ડ બની શકતા હોય તો જાનવરોના કેમ નહી? કડક કાયદો જ રખડતા જાનવરોની સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે.