-
વહેલી સવારે ચાલવા નીકળ્યા બાદ મોતીવાડા ગામેᅠઆંબાવાડીમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાᅠ
-
કોના પાસેથી નાણાં લેવાના અને દુકાન માટે કોણે વાયદા આપ્યા જેવી તમામ માહિતીની ચિઠ્ઠી મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડી તાલુકાના ઓરવાડ ગામે અંબિકા શો મિલની બાજુમાંᅠરહેતાઅને ઉદવાડા ઓરવાડ ખાતે ખેતીવાડી બજાર સમિતિની કેરી માર્કેટમાં વેપાર કરતાંᅠકાંતિભાઈ મોહનભાઈ ભંડારી ઉ.વ. 59 આજે બુધવારના રોજ વહેલી સવારે ચારેક વાગ્યે ચાલવા જાવ છું કહી ઘરેથી નીકળ્યા હતા જે બાદ તેઓ જલ્દી પરત ન આવતાᅠતેમનો પુત્ર કેવિન તેમનો કાકાનો દીકરો તેજશ સાથે ફળિયામાં શોધવા નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ મોતીવાડા હાઈવેના બ્રિજને અડીને આવેલી આંબાવાડીમાં લોકોને ભેગા થયેલા જોતા તેઓ જોવા જતાં ત્યાં વાડીમાં આંબાના ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી કાંતિભાઈ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેઓએ તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે પારડી મહેતા હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ પારડી પોલીસને કરાતાં પારડી પોલીસે પારડી સીએચસી હોસ્પિટલ ખાતે પહોંચી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે મૃતકના ખિસ્સામાં મળી આવેલી એક ચિઠ્ઠીના આધારે તેમણે રોકેલા નાણાં અને ઉઘરાણીમાં ફસી જતાં તણાવમાં આવી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ દેખાઈ રહ્યું છે.