(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: સેલવાસ નગર પાલિકા દ્વારા દરેક નાગરવાસીઓને જાણ કરવામાં આવે છે કે દેશના યુવાઓને સશષા દળોમાં સામેલ થવા અને દેશની સેવા કરવાનું સપનુ પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘અગ્નિપથ’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ભારતીય સેનાના ત્રણે અંગો થલસેના, વાયુસેના અને નૌસેનામાં જવાન, એયરમેન અને નાવિક વગેરે પદો પર ભરતી માટે ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા લાવવામાં આવેલ નવી યોજના છે. તેથી દાદરા નગર હવેલીના યુવા જેઓની ઉમર સાડા સતર (17.5) વર્ષથી 23 વર્ષ સુધી હોય તેઓ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાને સફળ બનાવવા માટે વધુમાં વધુ સંખ્યામાં યુવક-યુવતિઓ આ યોજનાનો લાભ લઈ શકે એના માટે જિલ્લા પ્રશાસન દ્વારા તા.26મી ઓગસ્ટના રોજ દાનહની દરેક પંચાયતોમાં અને તા.26 અને 28મી ઓગસ્ટના રોજ સેલવાસ નગરપાલિકાના દરેક વોર્ડમાં ખાસ શિબિરનું આયોજન કરાયું છે. જે સંદર્ભે સેલવાસના યુવાઓને જાગૃત કરવા માટે પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ચીફ ઓફીસર શ્રી મનોજ કુમાર પાંડે દ્વારા ‘અગ્નિપથ’ યોજના જાગરૂકતા રથને લીલી ઝંડી બતાવી રવાનાકરવામા આવી હતી. આ અવસરે પાલિકાના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.